આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે. આ સાથે જ ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ કરી હતી. હવે મંગળવારે મહારાષ્ટ્રથી ફરી યાત્રા શરૂ કરાશે. આજે રાહુલ ગાંધીએ સ્વરાજ આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા. બારડોલીમાં સભા રદ કરી રાહુલ ગાંધી વ્યારા પહોંચ્યા હતા. જ્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં લોકોને સંબોધ્યા હતા.
22 લોકો પાસે ભારતની 50 ટકા વસ્તીના પૈસા છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વ્યારામાં ખુલ્લી જીપમાં લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતમાં 22 લોકો એવા છે જેમની પાસે ભારતની 50 ટકા વસ્તી જેટલ છે. સરકારે દેશના તમામ સેક્ટરને આ 22 લોકોને વેચી માર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદ્યોગપતિને પૈસા મળી રહ્યા છે. વ્યારામાં રાહુલે અદાણી અને રિલાયન્સ પર નિશાન સાધ્યું હતું. તેમજ જનજાતિ ગણના અને આર્થિક સર્વેની માગ કરી હતી.
'નોટબંધી અને GSTએ નાના-મધ્યમ વેપારને ખતમ કરી નાખ્યું'
ગુજરાતના 30 નાના વેપારીઓ અમારી જોડે આવ્યા હતા. તેમણે મને કહ્યું- નોટબંધી અને GSTએ ભારતના નાના-મધ્યમ વેપાર, ટેક્સટાઈલ ઉદ્યોગ, ડાયમંડ ઉદ્યોગને ખતમ કરી નાખ્યું. તો મેં તેમને પૂછ્યું કે નોટબંધી અને GSTનું લક્ષ્ય શું હતું? તો એમણે મને કહ્યું રાહુલજી નોટબંધી અને GSTનું લક્ષ્ય નાના વેપારોઓને ખતમ કરવાનું હતું.
'અગ્નિવીર યોજના આવ્યા બાદ કોઈ સેનામાં જોડવા નથી માંગતું'
ભારતમાં પહેલાં લોકો તેમનાં બાળકોને સેનામાં મોકલતા હતા. કેમ કે જવાનોને સન્માન મળતું હતું. પરંતુ અગ્નિવીર યોજના આવ્યા બાદ સૈનિકોની વચ્ચે ભેદભાવ ઊભો થઈ ગયો છે. પહેલાં સેનાનાં સેન્ટર ભરેલાં જોવા મળતાં હતાં. ભરતી માટે લાઈનો લાગેલી જોવા મળતી હતી. પરંતુ આજે તે ખાલી જોવા મળે છે.


.png)