સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતાં આપના કોર્પોરેટર જિતુ કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું છે. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્યો બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો. જોકે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતાં તેનું મોત થયું છે.
કોર્પોરેટરને સંતાનમાં બે દીકરા
મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જિતુભાઈ કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ધરાવે છે. પરિવારમાં બે દીકરા છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.
બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો
ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પરિવારના નાના દીકરાનું મોત થતા પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે.
2 વાગ્યા આસપાસ આગનો કોલ મળ્યો
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, 2 વાગ્યા આસપાસ આગનો કોલ મળ્યો હતો. ત્યારબાદ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઘરમાં સભ્યો પણ ફસાયા હોવાની પણ જાણ થઈ હતી. જોકે, તેઓ કૂદી જતા બચાવ થયો હતો જ્યારે એક યુવક ફસાયો હોવાની જાણ થતા તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે તેને બચાવવામાં સફળતા મળી નહોતી.


.png)