ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 (SSC) અને 12 (HSC) સામાન્ય વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આવતીકાલે તા. 11મી માર્ચથી યોજાશે. નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ - સુરક્ષાપ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવશે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં નર્મદા જિલ્લામાં ધોરણ- 10માં જિલ્લાના 16 પરીક્ષા કેન્દ્રો ખાતે 9143 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે 30 પરીક્ષા બિલ્ડીંગોમાં 322 બ્લોક નક્કી કરાયા છે.
જ્યારે ધોરણ- 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 5 પરીક્ષા કેન્દ્રો ખાતે 4899 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જે માટે 13 બિલ્ડીંગમાં 152 બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપલામાં એમ.આર.વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ રાજપીપલા અને સુરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે કેન્દ્રો છે. જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ નિવાલ્દા ખાતે 23 બ્લોક મળી કુલ 66 બ્લોકમાં 1270 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલા છે. જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઇપણ વ્યકિત કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફુટેજના આધારે આવી વ્યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

.png)