સામાન્ય પ્રજાને રાહત આપવા કેન્દ્ર સરકારે સસ્તા ભાવે ચોખા વેચવાનો આજે નિર્ણય કર્યો છે. સરકાર આગામી સપ્તાહે છૂટક બજારમાંથી પ્રતિકિલો રૂ.29ના ભાવે ‘ભારત રાઈસ’ બ્રાન્ડ હેઠળ ચોખા વેચશે. સરકારે વેપારીઓને ચોખાના સ્ટૉકનો પોર્ટલ પર ખુલાસો કરવાનો પણ આદેશ આપ્યો છે.
એક વર્ષમાં ચોખાના ભાવમાં 15%નો વધારો
કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડા (Sanjeev Chopra)એ આજે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, વિવિધ જાતના ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યા છતાં છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક અને જથ્થાબંધ ભાવમાં લગભગ 15%નો વધારો થયો છે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ભારત રાઈસનું વેચાણ થશે
ચોખાના વધતા ભાવને અંકુશમાં રાખવા સરકારે બે સહકારી સમિતિ નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ) અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યૂમર્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) સાથે મળી છુટક બજારમાં સબસિડીવાળા ભારત રાઈસ પ્રતિકિલો 29 રૂપિયાના ભાવે વેચવાનો નિર્ણય કર્યો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ચોખાનું વિતરણ કરાશે. આગામી સપ્તાહે પાંચથી 10 કિલોના પેકમાં ભારત રાઈસ ઉપલબ્ધ કરાવાશે. પ્રથમ તબક્કામાં સરકારે પાંચ લાખ ટન ચોખા છૂટક બજારમાં ફાળવ્યા છે.’


.png)