વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કેસરિયો ધારણ કર્યો છે. 26 દિવસ પહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. આ અવસરે સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, 2022 વિધાનસભા ચૂંટણી વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય હતા. 25 જાન્યુઆરીના અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 2022માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને હાર આપી હતી. વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ધર્મેન્દ્રસિંહની ઓળખ છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા. તેઓ ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.

ધર્મેન્દ્રસિંહ આજે 15 હજારથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. વાઘોડિયાના સર્કસ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. હવે લોકસભાની ચૂંટણી સાથે વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.