- હવે દેશભરમાં ચોમાસાની સિઝનને લઇને હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે, તેમના અનુસાર, દેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય તારીખ નજીક આવી ગઇ છે
દેશભરમાં અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગે મોટી માહિતી આપી છે. દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચારેયબાજુ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, અને ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતમાં પણ વરસાદે કેર વર્તાવ્યો છે, હવે દેશભરમાં ચોમાસાની સિઝનને લઇને હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે, તેમના અનુસાર, દેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય તારીખ નજીક આવી ગઇ છે, એટલે કે ચોમાસુ હવે વિદાય લઇ લેશે. દેશભરમાં આ ચોમાસા સિઝનમાં સામાન્ય વરસાદ કરતા ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી વિદાય લે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગ અનુસાર, આ મહિનાના અંત સુધીમાં ચોમાસું વિદાય લઇ લેશે.
બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ
રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. સુરત ,ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. શનિવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો
ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 162.53 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 120.57 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં સરેરાશ 96.40 ટકા વરસાદ વરસ્યો છે.

