બારડોલી શહેર સહિત તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. બારડોલીના રાયમ નજીક મુખ્ય માર્ગ પાણી ફરી વળતાં બારડોલીથી કડોદ અને માંડવીના વાહન વ્યવહારને અસર થઈ હતી. આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સ્થાનિક અધિકારીઓને સૂચના આપી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
બે દિવસથી બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાય જવાથી વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી. ખાસ કરીને બારડોલી-માંડવી રાજ્ય ધોરી માર્ગ સૌથી વધુ પ્રભાવિત થયો હતો. બારડોલીના રાયમ નજીક મુખ્ય માર્ગ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. દર વર્ષની જેમ આ માર્ગ પર આ વર્ષે પણ પાણી ભરાય જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
બારડોલી તાલુકાનાં ઉતારા વધાવાને જોડતા ચીકખાડી પર બનાવવામાં આવેલ હંગામી પુલ પાણીમાં ધોવાઇ ગયો હતો. હાલ અહીં પુલ બનાવવાની કામગીરી ચાલી રહી હોય લોકોની અવરજવર માટે આ હંગામી પુલ બનાવવામાં આવ્યો હતો. જે પહેલા વરસાદમાં જ ધોવાઈ જતાં ગ્રામજનોને આખું ચોમાસું હાલાકી વેઠવાનો વારો આવશે. ગ્રામજનોને અવરજવર માટે કાયમી મોટી મુશ્કેલી ઊભી થઈ છે. હવે ગ્રામજનોએ 10 કિમી લાંબો ચકરાવો લગાવીને તાલુકા મથક બારડોલી સુધી પહોંચવું પડશે. હાલ તંત્ર દ્વારા બેરીકેટ્સ મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.




.png)