દિવસેને દિવસે વધુને વધુ ઉગ્ર બની રહેલુ વાવાજોડું બિપરજોય ગુજરાતની સીમાથી નજીક આવી રહ્યું છે. 15 તારીખે તે ગુજરાતને પર કરે તેવી સંભાવના છે. હાલ ગુજરાતનું તંત્ર આ બાબતે તૈયારીઓ કરી રહ્યું છે. તેવામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
અહેવાલો અનુસાર સોમવારે રાતે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાથે આ બિપરજોય વાવાજોડાના વિષયમાં ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓએ ભુપેન્દ્રભાઈને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર ગુજરાતને શક્ય એવી તમામ મદદ કરશે.
પ્રધાનમંત્રીએ યોજી સમીક્ષા બેઠક
નોંધનીય છે કે સોમવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી જેમાં બિપરજોય વાવાજોડાની સ્થિતિની સમીક્ષા અને તેને પહોંચી વળવા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પીએમઓ અને ગૃહમંત્રાલયના અધિકારીઓ હાજર હતા. સાથે જ પ્રધાનમંત્રીએ આ બાબતે અધિકારીઓને જરૂરી સલાહ-સૂચનો પણ કર્યા હતા. જે બાદ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કોલ કર્યો હતો.
બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ‘નુકસાન થવાની સ્થિતિમાં તત્કાલ મદદ માટે તૈયારીઓની સાથે જરૂરી સેવાઓ નક્કી કરો.’ ગૃહમંત્રાલય દ્વારા 24 કલાક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તોફાન 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. આ દરમિયાન 125-140 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
મુખ્યમંત્રીએ પણ યોજી સમીક્ષા બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોમવારે બિપરજોય વાવાઝોડાની હવામાન વિભાગની આગાહીના સંદર્ભમાં ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેઓએ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની પરિસ્થિતી તેમજ તંત્રની સજ્જતા બાબતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીએ વાવાઝોડા અને ભારે વરસાદના સંભવિત સંકટ સામે સમગ્ર રાજ્યના અને ખાસ કરીને દરિયાકાંઠાના આઠ જિલ્લાઓમાં લેવાઈ રહેલા અગમચેતીના પગલાં તેમજ વહીવટીતંત્રની તૈયારીઓની વિસ્તૃત વિગતો મેળવી જાનમાલની સલામતી બાબતે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. તેમણે વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પૂરી ક્ષમતાથી સતર્ક છે અને સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કાર્યરત છે તેની સરાહના પણ કરી હતી.



.png)