- દેગામા ગામે મિંઢોળા નદીનો લો લેવલ પુલ, પોતાનું જ વજન સહન નહી કરી શક્યો અને લોકો માટે ઉપયોગી બને તે પહેલા જ તૂટી ગયો
દેગામા ગામે મીંઢોળા નદી પરના પુલ તુટવા પાછળનું કારણ જાણવા એક એક્સપર્ટ તરીકે માર્ગ મકાન વિભાગના નિવૃત્ત અધિકારી સાથે વાતચીત કરતા, નામ નહી આપવાની શરતે જણાવેલ કે પહેલું કારણ મટીરીયલ ખરાબ વપરાયું હોય તો બની શકે. સ્ટીલ અને મટીરિલ ચકાસવું પડે. બીજુ જ્યારે સ્લેબ ભરવામાં આવ્યો હોય, ત્યારે એક સાથે પૂરો થયો ન હોય, અને ટુકડે ટુકડે ભરાયો હોય તો, અને ત્રીજું સ્લેબ ભરતી સમયે વાઈબ્રેટીગ યોગ્ય થઈ શક્યું ન હોય, તો પણ, સ્લેબમાં જગ્યા રહી જાય તો પણ આ ઘટના બનવા અંગે જણાવ્યું હતું.
દેગામાથી ટીચકપુરાને જોડતો મીંઢોળા નદી પરનો 2 કરોડના ખર્ચે નવનિર્મિત લો લેવલ પુલ, પોતાનું જ વજન નહી સહન કરી શક્યો અને લોકો માટે ઉપયોગી બને તે પહેલા જ વહેલી સવારે ધરાશયી થતાં, એજન્સીના નબળી કામગીરી સામે અનેક સવાલો અને લોક રોષ ઉઠ્યો હતો. વચ્ચેથી સ્લેબ તૂટી જતાં પુલનું બાળ મરણ થયું છે. માર્ગ મકાનના જવાબદાર અધિકારીઓ માટે પણ ઘણી શરમજનક બાબત કહી શકાય. વિકાસશીલ ગુજરાત માટે એક ધબ્બા જેવું કામ વાલોડ તાલુકામાં થયું છે.
ચોમાસું પહેલા જ પુલ તૂટી પડતા નદી પાર ખેતી ધરાવતા દેગામાં ગામના ખેડૂતોએ 15 કિમી સુધીનો ફેરવા સાથે ખેતી કરવાનો વધુ એક વર્ષ વારો આવ્યો છે. પુલવાળા ધારાસભ્યના નામે જાણીતા મોહન ઢોડિયાના વિસ્તારમાં જ આટલી નબળી કામગીરી થઇ હોવાથી, તેમની છબી સામે પણ અનેક અટકણો ઊઠી છે. પૂલનું કામ કરતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવાય તે અંગેની લોકોની માંગણીઓ ઊઠી છે. જોકે, આવા કિસ્સામાં નેતાઓ અને અધિકારીઓ, તટસ્થ તપાસ કરશે ખરા ? આ પણ એક સવાલ ઉઠ્યો છે.

- બ્રિજની ત્રીજ નહીં આવી - અંદાજિત બે કરોડના ખર્ચે તૈયાર પુલ ચોમાસામાં ઉપયોગી થાય તે પહેલાં જ વિવાદમાં
અધિકારીએ એજન્સીને 10 નોટીશ આપી
એજન્સી કામગીરી મંથર ગતિએ આગળ વધતા, માર્ગ મકાન વિભાગે દશ નોટિસો આપવામાં આવી હોવાનું અને 10 ટકા રિકવરી જમાં લીધી જણાવે છે. જોકે, અધિકારીઓ કાગળની કાર્યવાહી કરતા રહ્યા, યોગ્ય કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થયા. સ્લેબ વચ્ચેથી તુટી ગયો હોય, જવાબદાર અધિકારીઓએ દેખરેખ રાખી ન હોવાનું સ્પષ્ટ થાય છે.
માલસામાન ખરાબ આવતા હોવાની ફરિયાદ કરી હતી
આ ઘટનામાં જવાબદાર કોન્ટ્રાક્ટર છે. માલસામાન અંગે ખરાબ આવતા હોવા અંગે ફરિયાદ કરી હતી. આ બાબતે યોગ્ય અને તટસ્થ તપાસ થવી જરૂરી છે. આશિષકુમાર ચૌધરી, સરપંચ દેગામા
ખેડૂતો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ યથાવત
પુલનું કામ લગભગ પૂર્ણ થયું હોય, ખેડૂતો અને રાહદારીઓને મુશ્કેલીઓ બંધ થવાની આશા હતી, પરંતુ આ બનાવને લીધે હજી યાતનાઓ અને ફેરાવા ખાવા પડશે. ચંદ્રેશભાઇ કોંકણી, પ્રમુખ, તાલુકા પંચાયત વાલોડ
તપાસ બાદ પુલ તૂટવાનું કારણ જાણી શકાશે
વાલોડ મકાન પેટા વિભાગના નિરવભાઈ રાઠોડને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે પુલ વચ્ચેથી તૂટી પડયો હોવાનો હાલ તપાસ કરી રિપોર્ટ આવ્યા બાદ અકસ્માતનું કારણ જાણી શકાશે, હવે પછીની કામગીરીમાં પુરા પુલની કામગીરી અંગે તપાસ અને અહેવાલ બાદ કામગીરી કરવી કે કેમ તે નક્કી કરવામાં આવશે.



.png)