મહુવા તાલુકાના મુદત ગામે પ્રેમી પંખીડાએ 100 ફૂટ ઉંચા બ્રિજ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું. સાથે જીવી તો ન શક્યા, પરંતુ સાથે મરવાના વિચાર સાથે પ્રેમી યુગલ મોતને ભેટ્યા. જ્યાં પ્રેમિકા છલાંગ લગાવ્યા બાદ તડપી તડપીને મોતને ભેટી.
નવસારી જિલ્લાના ભેલખડી ગામે રહેતા ગૌરાંગ નાયકા અને સુરતના મહુવા તાલુકાના ખરવણ ગામે રહેતી રોશની નાયકા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. આ બંને છેલ્લા લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમી પંખીડાએ પોતાના પ્રેમ વિશે ઘરે વાત પણ કરી હતી, પરંતુ પરિવારે તેઓની વાત ન સ્વીકારી અને બંનેને એકબીજાથી દૂર રહેવા જણાવ્યું હતું. આ પ્રેમ સંબંધ આગળ ન વધે તે માટે યુવકના પરિવારે 27 વર્ષીય પ્રેમી ગૌરાંગ નાયકાની સગાઈ કરાવી દીધી હતી. જેથી બંને પ્રેમીઓ છૂટાં રહે, પરંતુ બંને યુવકની સગાઈ પછી છૂટાં પડી જશે તેવી બીક બંનેના આપઘાત કરવાનું કારણ બન્યું.
પ્રેમી પંખીડાને બ્રિજ પરથી કુદકો મારતા જ પાણીની જગ્યાએ પથ્થર નીકળ્યા અને બંને 100 ફૂટ ઉંચા બ્રિજ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાં વધુ ઈજાઓ પહોંચવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રેમિકા રોશની નાયકાને 108 મારફતે તાત્કાલિક બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. આમ એકબીજા સાથે જીવવા માંગતા પ્રેમી પંખીડાએ મોતને વ્હાલું કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મહુવા પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.



.png)