ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ખેલાડીઓને માત્ર પૈસા જ નથી મળતાં પરંતુ તેમના સપનાઓ પણ પૂરા થાય છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આકાશમાં ઊંચે ઉડવાનું લક્ષ્ય ધરાવતા ખેલાડીઓને સપનાને પાંખો મળે છે. આવા જ એક ક્રિકેટરને આગામી એડિશન માટે ચેન્નઈ સુપર કિંગ્સમાં જગ્યા મળી છે. કોચીમાં IPL 2023 માટે ચાલી રહેલી હરાજીમાં, ધોનીની ટીમે તેવા બેટ્સમેનને તક આપી, જે ખૂબ જ નાની ઉંમરમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યો છે. અહીંયા વાત કરી રહ્યા છીએ, 18 વર્ષના શેખ રશીદની (Sheik Rasheed), જે ચેન્નઈ સુપર કિંગ્સની (Chennai Super Kings) ટીમમાં સામેલ થયો છે. શેખ રશીદને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. તે 2022માં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન હતો. તેણે ટૂર્નામેન્ટની ચાર મેચમાં 201 રન કર્યા હતા.
ટ્રેનિંગ માટે સાથે જતા હતા પિતા
18 વર્ષનો શેખ રશીદ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેનું પૈતૃક શહેર આંધ્રપ્રદેશનું ગુંટૂર છે. રશીદને અહીંયા સુધી પહોંચાડવામાં તેના પિતા શેથ બાલિશવલીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ક્રિકેટમાં કરિયર બનાવવાનું દીકરાનું સપનું પૂરું કરવામાં તેમના હાથમાંથી બે વખત નોકરી જતી રહી. તેઓ રોજ દીકરાને સ્કૂટર પર બેસાડીને 12 કિમી દૂર ટ્રેનિંગ માટે લઈ જતા હતા. તેઓ તેને થ્રો-ડાઉન કરાવતા હતા. તેઓ ત્યારબાદ તેને મંગલાગિરી લઈ જતા હતા, જે તેમના ઘરથી 40 કિમી દૂર હતું. જ્યાં રાજ્ય અને જિલ્લા સ્તરના કોચની પાસે તે ટ્રેનિંગ લેતો હતો.
નોકરી છોડવી પડી
શેખ રશીદના પિતાએ ઓટોમોબાઈલ કંપનીમાં રહેલી સારી એવી નોકરી છોડવી પડી હતી. દીકરાને ટ્રેનિંગ માટે લઈ જતાં હોવાથી તેમને નોકરીમાં મોડું થઈ જતું હતું. રશીદના કરિયર માટે તેમણે આર્થિક કષ્ટિ પણ ભોગવવી પડી હતી. અંડર-19 વર્લ્ડ કપ બાદ તેમણે કહ્યું હતું 'મને ઓછામાં ઓછી બે વખત નોકરી પર આવવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી'. બાલિશવલીએ ખરાબ સમયને યાદ કરતાં કહ્યું હતું કે, એક બોલ આશરે 400 રૂપિયાનો આવતો હતો અને કિટ પણ મોંધી હતી. તેથી તેમણે સિંથેટિક બોલથી પ્રેક્ટિસ કરવવવાનું શરૂ કર્યું હતું. તે કિંમત પર તેમને આવા ત્રણ-ચાર બોલ મળી જતાં હતા.
એમએસકે પ્રસાદનો મળ્યો સાથ
ભારતીય ટીમના પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે પણ શેખ રશીદની સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે આંધ્રપ્રદેશમાં રાજ્ય એસોસિએશનના ક્રિકેટ ઓપરેશનના ડિરેક્ટર પદ પર રહીને ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ એકેડેમી તૈયાર કરાવી હતી. તેમનો ઉદ્દેશ નાના શહેરોમાં રહેલી પ્રતિભાઓને શોધવાનો હતો. રશીદ તેવો જ એક ચહેરો હતો. અંડર-19 વર્લ્ડ કપ બાદ તેમણે કહ્યું હતું કે, રશીદના પિતાને સૌથી વધારે શ્રેય મળવો જોઈએ. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. પરંતુ દીકરાને મોટા સપના જોતો રોક્યો નહીં. બાલિશવલી જેવા વ્યક્તિઓની સૌથી સારી વાત એ હોય છે કે તેમની પાસે 'ગુમાવવા માટે કંઈ નથી'વાળું વલણ હોય છે.



.png)