દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર કરાશે. 4 ડિસેમ્બરના યોજાયેલી ચૂંટણીમાં 50 ટકાથી વધુ મતદાન થયું હતું. એક્ઝિટ પોલના દાવા મુજબ આમ આદમી પાર્ટી MCDમાં સત્તા પર આવશે. ત્યારે મતગણતરીના એક દિવસ પૂર્વે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્ઝિટ પોલના આંકડા જોયા બાદ જનતાનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે એક્ઝિટ પોલની આગાહીઓ ગુજરાતમાં પાર્ટી માટે સકારાત્મક સંકેત છે. સોમવારે ત્રણ એક્ઝિટ પોલમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPની સ્પષ્ટ જીતનું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) બીજા સ્થાને રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો તમામ એકઝિટ પોલમાં કૉંગ્રેસને 10થી ઓછી સીટો દર્શાવવામાં આવી છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીના લોકોનો હું આભાર માનું છું. જેને ફરી એકવાર અમારા પર વિશ્વાસ મૂક્યો.
દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બુધવારે યોજાનારી મત ગણતરી માટે 42 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. રાજ્ય ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે અમે આવતીકાલે યોજાનારી મત ગણતરી માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 42 મતગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. કડક સુરક્ષા વચ્ચે મતગણતરી કરવામાં આવશે. મતગણતરી કેન્દ્રો શાસ્ત્રી પાર્ક, યમુના વિહાર, મયુર વિહાર, નંદ નગરી, દ્વારકા , ઓખલા, મંગોલપુરી, પિતમપુરા, અલીપુર અને મોડલ ટાઉન સહિતના વિસ્તારોમાં આવેલા છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કેન્દ્રો પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 20 કંપનીઓ અને 10,000 થી વધુ પોલીસ કર્મચારીઓને કેન્દ્રો પર તૈનાત કરવામાં આવ્યા છે.


.png)