‘કેજરીવાલ જ મુસ્લિમોના સાચા હિતેચ્છુ, જીવીશું ત્યાં સુધી સમર્થન કરીશું’: મુસ્લિમ ફાઇટર્સ ક્લબનું એલાન

News 16
0
ગુજરાત ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના ખાનપુર ખાતે મુસ્લિમ ફાઇટર્સ ક્લબ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ક્લબ દ્વારા આવનારી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને મત આપવા માટે અપીલ કરી હતી તેમજ કોંગ્રેસ પર મુસ્લિમોનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

અમદાવાદના મુસ્લિમ બહુમતી વિસ્તારમાં મુસ્લિમ સમાજ માટે કાર્યરત ‘મુસ્લિમ ફાઇટર્સ ક્લબ’ના સંચાલક ઇમરાનભાઈએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મોટાભાગના મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. ઉપરાંત, ક્લબના સંચાલકો તેમજ ચર્ચિત બિલ્કીસ બાનોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં એક મૌલાના પણ હાજર રહ્યા હતા, જેમની તકરીરથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

સંબોધનમાં કાર્યક્રમના સંચાલક ઇમરાનભાઈએ કહ્યું કે, “મુસ્લિમ સમાજ હંમેશા નફરતનો શિકાર બન્યો છે અને વિવિધ પક્ષોએ તેમનો માત્ર ઉપયોગ કર્યો છે. કેજરીવાલ માત્ર એક વ્યક્તિ છે જે મુસ્લિમોનો સાચો હિતેચ્છુ છે. અમે અમારા દિલ્લીના મુસ્લિમ ભાઈઓને ફોન કરીને પૂછ્યું છે તેમાં તેઓ કહે છે કે તેમની સ્થિતિ ખૂબ સુધારી છે. ભારતના કોઈ પણ વિસ્તારનો મુસ્લિમનો અરવિંદ કેજરીવાલ ખ્યાલ રાખે છે. ભારત છોડો બહારથી આવેલા શરણાર્થીઓનો પણ અરવિંદ કેજરીવાલ ખ્યાલ રાખે છે.” ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને 300 રોહિંગ્યાઓને સ્થાયી કર્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, “અમારો એક જ નેતા છે, એ છે- અરવિંદ કેજરીવાલ, જેઓ અમને આગળ લઇ જશે. આજે અમે એલાન કરીએ છીએ…આજે મુસ્લિમ ફાઇટર્સ ક્લબના 3 હજાર પરિવારો છે, કાલે ઉઠીને 30 હજાર થશે અને આવતી ચૂંટણી સુધીમાં 3 લાખ પરિવાર પણ થઇ શકે છે. પરંતુ આજે એલાન કરીએ છીએ કે અમે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને સમર્થન આપીશું.”

કાર્યક્રમમાં હાજર બિલકિસ બાનોએ તેમના ભાષણમાં કહ્યું કે, કેજરીવાલ ભણેલા નેતા છે અને શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરે છે. જેથી સૌ મુસ્લિમ સમાજના લોકોએ તેમના પક્ષને મત આપવો જોઈએ.

દરમ્યાન, આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર ભોલુભાઈ પટેલના પિતરાઈ ભાઈ પરાગભાઈ પટેલે ઉપસ્થિત રહીને મુસ્લિમ સમાજને ટેકો આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “આપણે હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ જ છીએ અને હંમેશા આપણને એકબીજાની જરૂર પડવાની જ છે.”

કાર્યક્રમ દરમિયાન વચ્ચે ‘નારા એ તકબીર, અલ્લાહ-હું-અકબર’ના નારા પણ લાગ્યા હતા. ઉપરાંત, એવો પણ નારો આપવામાં આવ્યો હતો કે, ‘હાથમાં ઝાડુ લીલું-લીલું, ‘આપ’-મુસ્લિમ ઇલુ-ઇલુ.’

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top