દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાગનગરના ગારિયાધારમાં આયોજીત કાર્યક્રમમાં અલ્પેશ સત્તાવાર રીતે આપ પાર્ટીમાં જોડાયા હતા. ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
અલ્પેશ કથિરીયા વરાછા બેઠક પરથી તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિક વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. આપમાં જોડાયા બાદ અલ્પેશે કહ્યું હતું કે રાજનીતિના મંચ પર જઇને કંઇક કરવાનો અમે નિર્ણય કર્યો છે. અલ્પેશ કથિરીયાએ પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 લોકોને યાદ કર્યા હતા. અલ્પેશે કહ્યું કે 14 મહિનાથી વધારે જેલવાસ ભોગવ્યો છે. અનેક કેસો થયા છે. પરિવર્તનની લહેરમાં ખભે ખભો મેળવી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં ગરીબી, બેરોજગારી ઓછી થાય અને શિક્ષણ સારુ મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.
ભાવનગરના ગારીયાધાર તાલુકામાં આપની સભાનું આયોજન કરાયુ હતું. સભામાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે અલ્પેશ કથિરીયાનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. અલ્પેશ કાથિરીયાને કેજરીવાલે ખેસ પહેરાવ્યો હતો. તે સિવાય ગારીયાધાર કોંગ્રેસના નગરપાલિકાના વિપક્ષ નેતા આપમા જોડાયા હતા. તે સિવાય ગારીયાધાર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વલ્લભ માણિયા પણ આપમા જોડાયા હતા.
યુનિફોર્મ સિવિલ કોડ બને-કેજરીવાલ
ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના પ્રશ્ન પર મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના ભાવનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાના પ્રસ્તાવ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.
આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમનો ઈરાદો ખરાબ છે. બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે, તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. તેને એવો બનાવવો જોઇએ જેમાં તમામ સમુદાયોની સહમતિ હોય. તેમણે કહ્યું કે તમામ સમુદાયોને સાથે લઈને યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઇએ.



.png)