ગુજરાત વિધાનસભા મિશન 2022 માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે જ્યાં આજે તેઓ રાત્રિ રોકાણ અમદાવાદમાં જ કરશે. આ દરમિયાન તેઓ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
કેજરીવાલના બે દિવસના કાર્યક્રમઃ
આવતીકાલે અરવિંદ કેજરીવાલ સવારે અમદાવાદ ખાતે ઓટો ડ્રાઈવર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ રિક્ષા ચાલકો સાથે સંવાદ કરશે. બપોરે અમદાવાદ ખાતે ટ્રેડર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ સાંજે અમદાવાદ ખાતે એડવોકેટ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલ તેમના પ્રવાસના અંતિમ દિવસે 13 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ ખાતે એક ગેરંટીની જાહેરાત કરશે. ત્યાર બાદ સાંજે કેજરીવાલ સફાઈ કર્મચારીઓ સાથે ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ 13મીએ સાંજે દિલ્હી જવા રવાના થશે.


.png)