ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યા છે. સરકાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ BJP, RSS અને મોદીએ બનાવી છે. સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતા એ ખેડૂતોના હિત માટે નીકળતા હતા. તેમના વિના અમૂલ ઊભું ના થાત.એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે અને બીજી તરફ તેમનું જ અપમાન કરે છે. કોંગ્રેસ પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવાં માફ કર્યા છે. અહીં પણ અમે દરેક ખેડૂતનું 3 લાખનું દેવું માફ કરીશું. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું? કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનને રોજગાર આપીશું.
રાહુલ ગાંધી સભા સ્થળેથી સીધા સાબરમતી આશ્રમ ગયા હતા. તેઓ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા હતા. તેમને ગાંધી આશ્રમની પ્રતિકૃતિ રૂપે ચરખો ભેટમાં અપાયો હતો. અશોક ગેહલોતે કહ્યું હતું કે ગાંધી આશ્રમથી રાહુલ ગાંધીએ ભારત જોડો આંદોલનની શરૂઆત કરી છે અને હવે આખા ભારતમાં આ પ્રકારે ભારત જોડો કાર્યક્રમ કરશે.
ગત વખતની જેમ લડશો તો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે
સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. BJP એક તરફ સૌથી મોટી મૂર્તિ બનાવે છે, જે વસ્તુ માટે સરદાર જીવ્યા તેના વિરુદ્ધ જ BJP કામ કરે છે. ભાજપ 3 કાળા કાયદા લાવ્યો. ભાજપે ખેડૂતોના હક છીનવ્યા, જેથી ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઊતર્યા છે. આજે સરદાર પટેલ હોત તો તેઓ કોનું દેવું માફ કરત- ઉદ્યોગપતિઓનું કે ખેડૂતોનું. હું આ સવાલ તમને પૂછી રહ્યો છું. તેઓ ક્યારેય આવું કરત નહીં. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે. તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે. કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવીશું અને છોકરીઓને મફતમાં શિક્ષણ આપીશું. ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીશું. ચૂંટણી નજીક છે, હું તમને કહું છું કે તમે લડો, ગત વખતની જેમ લડશો તો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.



.png)