રેવડી કલ્ચર મુદ્દે ગુજરાત રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે રેવડીવાળા વચન આપે છે પરંતુ પુરા કરશે કે નહી તે વિચારતા નથી. મફતની રેવડીના કારણે દેશનો વિકાસ થંભી જાય છે.
સીઆર પાટીલ પર આપ પાર્ટીએ વળતો પ્રહાર કર્યો હતો. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે તમે બીન ગુજરાતી છો, એટલે તમારી માનસિકતા ગુજરાત વિરોધી છે. ફ્રી રેવડી ફ્રી રેવડી કરીને ગુજરાતની પ્રજાની મજાક કરો છો. ગુજરાતની પ્રજાને 300 યુનિટ ફ્રી વીજળી મળે તેમાં તમને કેમ પેટમાં દુઃખે છે. દિલ્હીમાં તમામ સેવા ફ્રીમાં હોવા છતાં દિલ્હી સરકાર પ્લસમાં છે. ગુજરાતમાં એક પણ સેવા ફ્રી નથી છતાં ગુજરાત સરકાર પર દેવું છે.
દરમિયાન કાર્યક્રમને સંબોધતા પાટીલે કહ્યું કે દરેક બેઠક 50 હજાર ની લીડ સાથે જીતવી છે. ગુજરાત દેશનું મોડલ છે. કોંગ્રેસ સરકાર બનાવવા તડજોડ કરે છે. પહેલા સરદાર પટેલના સ્થાને નહેરુને પ્રધાનમંત્રી બનાવ્યા હતા. કોરોનામાં વડાપ્રધાન મોદીએ કામ કર્યું. વેક્સિન મફતમાં આપવામાં આવી. તેઓએ રેવડી વેચી નથી પરંતુ વેક્સિન આપીને લોકોના જીવ બચાવ્યા છે.
આવા લોકો રાજ્યને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે છે. કચ્છ સુધી પાણી પહોંચાડવાનું હતુ ત્યારે મેધા પાટકર કામ રોકતા હતા. જે ગુજરાતને આગળ જતા રોકતા હતા તે મેધા પાટકરને આપ આગળ લાવે છે. આજે ઓલપાડ માં 1 લાખ લોકો છે અને પેલા ભાઈ ભીડવાળી જગ્યામાં જઈ સભા કરે છે.
દરમિયાન સુરતમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. સરકારી યોજનાઓના લાભ અંગે લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ગુજરાત અને કેન્દ્રની સરકારને ગણાવી ડબલ એન્જીનની સરકાર ગણાવી હતી. તેમણે આરોગ્ય કેમ્પને જનતા માટે આશિર્વાદ સમાન ગણાવ્યા હતા. સાથે જ સેવાભાવ શું હોય છે તે સુરતના લાકો સારી રીતે જાણતા હોવાની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ સરકારી યોજનાઓથી અન્ય લોકોને જાગૃત કરવાનું લાભાર્થીઓને સૂચન કર્યું હતું. તેઓએ કહ્યું કે નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર જનતા જ અમારા માટે ભગવાન છે.

