ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એકવાર ફરી સંપૂર્ણ ભરાઇ ગયો છે. જેનાથી ગુજરાતના ખેડૂતોને ઘણો મોટો ફાયદો થશે. ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ‘સરદાર સરોવર ડેમ’ની જળસપાટી 138.68 મીટરે પહોંચતા CM ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદાના નીરના વધામણાં કર્યા છે.રીવરબેડ પાવરહાઉસમાંથી 43 હજાર 155 ક્યુસેક પાણી છોડાતા ડેમમાં હાલ 2 લાખ 11 હજાર 66 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમના 23 દરવાજા મારફતે 1 લાખ 50 હજાર ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, સરદાર સરોવર ડેમ સીઝનમાં પ્રથમવાર અને ગેટ લગાડ્યા બાદ ત્રીજીવાર 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક હાલ 2 લાખ 11 હજાર 66 ક્યુસેક નોંધાઇ છે. ત્યારે સવારે 10 દરવાજા 1.30 મીટર સુધી ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતી રહી હોવાના કારણે ડેમની સપાટી ધીરે-ધીરે વધતી ગઈ. રાત્રીના નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની મહત્તમ સપાટીને પાર કરી દીધી છે એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી તે પરિપૂર્ણ થઇ છે.અત્રે નોંધનીય છે કે, આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉપલેટામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. એ સિવાય જામજોધપુરમાં પોણા 2 ઈંચ વરસાદ, લિલિયામાં 1.5 ઈંચ વરસાદ, વાપીમાં સવા ઈંચ, સાંતલપુરમાં સવા ઈંચ, વેરાવળમાં 1 ઈંચ, ભચાઉમાં 1 ઈંચ, દાંતામાં પોણો ઈંચ, ધરમપુરમાં 17 મીમી વરસાદ, માળિયા મિયાણામાં 17 મીમી અને સાવલીમાં 15 મીમી વરસાદ નોંધાયો છે.


.png)