જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મિની બસ ખીણમાં ખાબકી છે. દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેના બચાવકાર્યમાં લાગેલી છે. તમામ ઈજાગ્રસ્તોને મંડીની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મંડીના મામલતદાર શહેજાદ લતીફે અકસ્માત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બસ મંડીથી સાવજિયા જઈ રહી હતી. આ દરમિયાન બસ ખીણમાં પડી હતી.
મૃતકોના પરિવારને 5 લાખના સહાયની જાહેરાત
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મૃતકોના પરિવારને 5 લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારને 1 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે, સાથે જ ઈજાગ્રસ્તોની સારી સારવાર માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા. PMNRFએ પણ મૃતકોના પરિવારજનને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું - પૂંછના સાવજિયામાં થયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં લોકોનાં મૃત્યુ અત્યંત દુઃખદ છે. મારી સંવેદના અને પ્રાર્થના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.


.png)