આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત નવમી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદી ભાવુક થઈ ગયેલા જોવા મળ્યા અને એક કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે આપણે લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં મહિલાઓનું અપમાન કરીએ છીએ જે સ્વીકાર્ય નથી.
લાલ કિલ્લા પરથી જણાવી પીડા
પીએમ મોદીએ કહ્યું કે હું લાલ કિલ્લા પરથી મારી એક પીડા જણાવવા માંગુ છું. હું તેને કહ્યા વગર રહી શકતો નથી. કદાચ આ લાલ કિલ્લાનો વિષય ન હોઈ શકે. પરંતુ મારી અંદરનું દર્દ હું કોને કહું. દેશવાસીઓ સામે રજૂ નહીં કરું તો કોને કહીશ અને તે એ છે કે કોઈ ને કોઈ કારણસર આપણી અંદર એક વિકૃતિ આવી છે, આપણા બોલચાલમાં, આપણા વ્યવહારમાં, આપણા કેટલાક શબ્દોમાં, આપણે નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીનું અપમાન કરનારી દરેક વાતથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લઈ શકીએ. નારીનું ગૌરવ રાષ્ટ્રના સપના પૂરા કરવામાં ખુબ મોટી પૂંજી બનવાનું છે, આ સામર્થ્ય હું જોઈ રહ્યો છું.
દેશ સામે બે પડકાર
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે "દેશ સામે બે પડકાર છે પહેલો ભ્રષ્ટાચાર અને બીજો પડકાર છે ભાઈ ભત્રીજાવાદ, પરિવારવાદ. આ બંને વિકૃતિઓને જો સમયસર સમાધાન ન કરાયું તો તે વિકરાળ સ્વરૂપ લઈ શકે છે." તેમણે કહ્યું કે "ભારત જેવા લોકતંત્રમાં જ્યાં લોકો ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે એવા દ્રશ્યો જોવા મળે છે કે એક બાજુ એવા લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી તો બીજી બાજુ એવા લોકો છે જેમની પાસે પોતે ચોરી કરેલો માલ રાખવા માટે જગ્યા નથી. આ સ્થિતિ સારી નથી. આથી આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પૂરેપૂરી તાકાતથી લડવું પડશે." તેમણે કહ્યું કે "છેલ્લા 8 વર્ષમાં DBT દ્વારા આધાર અને મોબાઈલ સહિત અન્ય આધુનિક વ્યવસ્થાનો ઉપયોગ કરતા 20 લાખ કરોડ રૂપિયાને ખોટા હાથમાં જતા બચાવ્યા અને તેને દેશની ભ લાઈના કામમાં લગાવવામાં સરકાર સફળ થઈ."
દેશને લૂંટનારાઓએ પાછું આપવું પડશે
પીએમ મોદીએ કહ્યું કે "જે લોકો ગત સરકારોમાં બેંકોને લૂંટીને ભાગી ગયા તેમની સંપત્તિઓ જપ્ત કરીને તેમને પાછા લાવવાની કોશિશ ચાલુ છે. અનેક લોકોને જેલોમાં જીવવા માટે મજબૂર કરાયા છે. અમારી કોશિશ છે કે જેમણે દેશને લૂંટ્યો છે તેમણે પાછા ફરવું પડે. અમે એવી સ્થિતિ પેદા કરીશું. એવા લોકો બચી શકશે નહીં. ભ્રષ્ટાચાર ઉધઈની જેમ દેશને ખોખલો કરી રહ્યો છે અને તેના વિરુદ્ધ લડત તેજ કરવાની છે. તથા તેને નિર્ણાયક મોડ પર લઈ જવાની જ છે."
ગંદકી પ્રત્યે નફરત જરૂરી
પીએમ મોદીએ કહ્યું કે મારા 130 કરોડ દેશવાસીઓ, તમે મને આશીર્વાદ આપો, તમે મારો સાથ આપો. હું આજે તમારો સાથ માંગવા માટે આવ્યો છું. તમારો સહયોગ માંગવા માટે આવ્યો છું જેથી કરીને આ લડતને લડી શકું અને આ લડઈને દેશ જીતી શકે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સમાજમાં ગંદકી પ્રત્યે નફરત નહીં થાય, સ્વચ્છતા પ્રત્યે ચેતના પણ જાગતી નથી. એ જ રીતે જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ પ્રત્યે નફરતનો ભાવ પેદા નહી થાય, સામાજિક રીતે તેમને નીચા દેખાડવા માટે મજબૂર નહીં કરવામાં આવે, ત્યાં સુધી આ માનસિકતા ખતમ થવાની નથી. આથી ભ્રષ્ટાચાર પ્રત્યે અને ભ્રષ્ટાચારીઓ પ્રત્યે પણ આપણે જાગૃત થવાની જરૂર છે.


.png)