સમગ્ર રાજ્યમાં ચોમાસું તેની ચરમસીમાએ છે. સારો અને માફસરના વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં નવા નિરની આવક વધી છે. કડાણા ડેમમાં પાણીની આવક વધતા તેમાથી સતત પાણી છોડાઈ રહ્યું છે. આથી ખેડા જિલ્લાનો વણાકબોરી વિયર આજે છલકાઈ ગયો છે. ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વણાકબોરી વિયર ઓવરફ્લો થયો
આમ તો ખેડા જિલ્લામાં ભારે વરસાદ નથી. જે રાહતના સમાચાર છે, પરંતુ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઇ છે. હાલ આ ડેમની જળસપાટીની જો વાત કરવામાં આવે તો 415.08 ફુટની સપાટીએ એટલે કે 91.69% પાણીનો જથ્થો છે. જ્યારે ગત વર્ષે આ દિવસે 388.05 ફુટની સપાટીએ હતું. આ ડેમનુ પણી સતત વણાકબોરી વિયરમા છોડવામાં આવતા વણાકબોરી વિયર છલકાઈ ગયો છે. આજે સવારે 8 કલાકે કડાણા ડેમમાંથી 10 હજાર 900 ક્યુસેક પાણી અને અગાઉ છોડેલા પાણીથી હાલ આ વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે. આ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. તો બીજી બાજુ આ પાણી હવે મહિસાગર નદીમાં ભળતા મહિસાગર નદી બે કાંઠે વહેશે.
અનેક ગામોને સર્તક કરાયા
બીજી તરફ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઇ પાણી છોડાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિને ધ્યાને લઇ ધરોઈ ડેમની નીચે વાસમાં 66800 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું, જેથી આ અંગે અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડા તથા સાથલ તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વારસંગ તથા ખેડા તાલુકાના નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થવાની સંભાવના હોઇ સંબધિત ગામના નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહિ જવા તથા સાવચેત રહેવા અમદાવાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.સી.મકવાણાએ જણાવ્યુ છે.


.png)