મહુવા તાલુકાના બામણિયા ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીનના ઝાડો કાપી વેપાર કર્યો હોવાના આક્ષેપો સાથે જાગૃત ગ્રામજનો દ્વારા સલગ્ન તંત્રને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરતા બામણિયા ગ્રામ પંચાયતનો વહીવટ વિવાદમાં સપડાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના બામણિયા ગામના જાગૃત નાગરિકો દ્વારા મહુવા મામલતદાર, પ્રાંત અધિકારીથી લઈ વનવિભાગને બામણિયા ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા ગામની ગૌચરની જમીનમાં આવેલા જંગલના ઉભા ઝાડો કાપી વેપાર કર્યો હોવાના આક્ષેપ સાથે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.
વધુમાં લેખિત અરજીમાં જણાવ્યુ હતુ કે ગામની ગૌચરની જમીનમાં સરકારી યોજના અંતર્ગત 20 વર્ષ પહેલાં વનીકરણની કામગીરી થઈ હતી.જે જંગલના ઝાડો 80થી 100 જેટલા ઝાડો બામણિયા ગ્રામ પંચાયત દ્વારા કાપીને વેચી દીધા છે.
ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા આ ઝાડો કાપવા બાબતે જંગલ ખાતાની કે અન્ય કોઈ અધિકારીની મંજૂરી લીધી નથી તેમજ ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કર્યો ન હોવાના આક્ષેપ સાથે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરતા પંચાયતના સત્તાધીશોમા ફફડાટ ફેલાય ગયો હતો.આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો ઉપવાસ,ધરણા તેમજ કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી અરજદારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ઝાડ કાપવા પરવાનગી લીધી નથી
બામણિયા ગ્રામજનોની અરજી મળેલ છે. આ ઝાડો પંચાયત હસ્તક હોય પરંતુ કાપણી માટે પરવાનગી લેવાની ફરજીયાત છે પરંતુ ગ્રામપંચાયત દ્વારા અત્રેથી કોઈ પણ જાતની પરવાનગી લીધી નથી અને આ બાબતે મામલતદાર તેમજ પ્રાંત અધિકારી ગેરકાયદેસર ઝાડો કાપનાર વિરુદ્ધ એકશન લઈ શકે છે. - વાય એસ પઠાણ, આરએફઓ, સામાજિક વનીકરણ, કરચેલીયા
ઝાડ સ્મશાન ટ્રસ્ટની જગ્યામાં હતા
કેટલાક ગ્રામજનોએ સહી કરી અરજીમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ખોટા છે. પંચાયતે ઝાડ કપાવ્યા જ નથી. આ ઝાડો સ્મશાનની જગ્યામાં હતા અને એ ઝાડો સ્મશાન ટ્રસ્ટે કપાવ્યા છે. - સોનલબેન પટેલ, બામણિયા ગ્રામપંચાયત, સરપંચ


.png)