મહુવા તાલુકાના સ્વાતંત્ર્ય સંગ્રામના વિરાંગનાને છેલ્લા પાંચ વર્ષથી પેન્સન નહિ મળતા હોવા બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા સવિસ્તાર અહેવાલ પ્રસિધ્ધ કરી પરિસ્થિતિ ઉજાગર કરી હતી. આખર તંત્ર હરકતમાં આવતા, પેન્સન ચાલુ થવાની સાથે છેલ્લા પાંચ વર્ષના પેન્સનની બાકી રકમ પણ સ્વાતંત્ર્ય સેનાની મણીબેન ધોડિઆને મળી છે.
આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે બીજીબાજુ આઝાદીના જંગમાં નિષ્ઠાપૂર્વક ઝંપલાવેલ એવા સ્વાતંત્ર્ય સંગ્રામના વિરાંગના મણીબેન બાપુભાઈ ઘોડિઆને સ્વાતંત્ર્ય સેનાનીઓને મળતું પેન્સન મેળવવા પાંચ વર્ષથી ધક્કા ખાવા પડી રહ્યા હોવા બાબતે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો અહેવાલ તા-14/08/2022ના રોજ સતસ્વીર પ્રસિદ્ધ કર્યો હતો. આઝાદીના લડવૈયા એવા સો વર્ષીય મણીબાના ચહેરા ઉપર પેન્સન નહિ મળવા બાબતે સ્પષ્ટપણે નારાજગી હતી.
સ્વાતંત્ર્ય રત્ન એવા મણીબેનનું 24/10/2017 માં પેન્સન મળ્યું હતુ. ત્યારબાદ પણ સદંતર બંધ થઈ જવા પામ્યું છે. તેમના પરિવાર દ્વારા કચેરીના ચક્કર કાપીને કાપીને અનેક અરજીઓ કરી સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પેન્સન ચાલુ થયુ ન હતું. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નહિ મળેલ પેન્સનની રકમ મળવાની સાથે તેમનું પેન્સન ચાલુ થઈ ગયું છે. જેને લઈ સ્વાતંત્રસેનાની સહિત પરિવારજનોમા ખુશીની લહેર ફેલાઈ હતી.અને દિવ્ય ભાસ્કરની કામગીરી પરિવારજનોએ અને તાલુકાની જનતાએ બિરદાવી હતી.


.png)