વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે “ખાદી ઉત્સવ”નો અનોખો કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. અહીં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી-કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે. એ ઉપરાંત તેઓ રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા અટલ બ્રિજનું લોકાર્પણ કરશે.
7500 મહિલા કારીગરો ઇતિહાસ સર્જશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27 ઓગસ્ટે “ખાદી ઉત્સવ”નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. અહીં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. 7500 મહિલા કારીગરનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી પર ટ્રાઈ કલર અંગવસ્ત્ર પહેરશે. કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.
કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર થયો
સાબરમતી નદી પર હવે અટલ ફૂટ ઓવર બ્રિજ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અત્યારે અહીં અમદાવાદીઓ પિકનિક અને સાઈક્લિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જોઈ શકશે, જેના પર 45 મિનિટ વિતાવવાનું ભાડું સરકારે 30 રૂપિયાનું નક્કી કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નોંધનીય છે કે હજુ સરકાર આ મુદ્દે ચર્ચા કરી રહી છે. આ બ્રિજ પર ફરવા માટે ચાર્જ ચૂકવવો પડશે, પરંતુ અહીં ફૂડ સેન્ટર, ખાણી-પીણી સ્ટોલ ઊભાં કરાયાં છે. એટલું જ નહીં, ફૂટઓવર બ્રિજના પશ્ચિમ અને પૂર્વ એન્ડ પર મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે. ઓવર બ્રિજ પર બે કેફે વચ્ચે કાચનું ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લોકો ફ્લોર પરથી નદી જોઈ શકશે.
અટલ બ્રિજ પર ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ
- બ્રિજની કુલ લંબાઈ 300 મીટર છે, જ્યારે વચ્ચેનો સ્પાન 100 મીટર છે.
- છેડેના ભાગે પહોળાઈ 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે પહોળાઈ 14 મીટર છે.
- નદીના લોઅર તથા અપર પ્રોમિનાડ (ફૂટપાથ) પરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રિજમાં પ્રવેશ કરી શકાશે.
- 2600 ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રિજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
- બ્રિજના વચ્ચેના ભાગે વૂડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે.
- વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
- ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રિજને આગવો લૂક આપે છે, ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ પણ છે.
વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ
- બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન
- સાંજે 5.00 કલાકે રિવરફ્રન્ટ પર ચરખા મહોત્સવમાં ભાગ લેશે
- સાંજે 5.30 કલાકે અટલ બ્રિજનું લોકાર્પણ કરશે
- ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે
વડાપ્રધાનનો આવતીકાલનો કાર્યક્રમ
- સવારે 9.00 કલાકે ભુજ રવાના જશે
- સવારે 10 કલાકે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ
- સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ
- સાંજે 5.00 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમ
- રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના



.png)