નિઝર વિધાનસભા ક્ષેત્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર પરેશભાઈ વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બીજેપીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા તાપી ભાજપમાં સોપો પડી ગયો હતો. ઉચ્છલ રહેતાં પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ વસાવા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતાં.
પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતાં ત્યાંથી રાજીનામું આપી બીજેપીમાં જોડાયા બાદ પક્ષ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હોવાની વાત તેમના ટેકેદારોએ જણાવી હતી. તેમણે બીજેપીના સંગઠન અને ઉચ્ચ આગેવાનો પાસે તાપી જિલ્લામાં ચાલતાં કથિત ભ્રષ્ટાચાર સામે વિગતવાર રજૂઆત કરી હતી. જો કે તેમની રજૂઆત પર મોવડી દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
આ અંગે બુધવારે પરેશભાઈ વસાવાએ પાર્ટી પ્રમુખ સી. આર. પાટિલને પત્ર લખી પોતાનું રાજીનામું જાહેર કર્યું હતું. પત્રમાં જણાવ્યા નુસાર તાપી જિલ્લામાં અધિકારીઓ અને બીજેપી સંગઠનના મુખ્ય જવાબદાર વ્યક્તિઓ દ્વારા માનીતા NGO અને એજન્સીની સાથે મળી મેળાપીપણામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
આ અંગે પરેશભાઈએ પક્ષના મોવડી પાસે વારંવાર રજૂઆત કરી હોવા છતા કોઈ તપાસ કે નિરાકરણ આવેલ નથી. આથી તેમણે થાકીને બુધવારે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ અને તમામ હોદ્દા પર પરથી રાજીનામું આપી દીધું હતું. અને સૂત્રોની માહિતી મુજબ આપ પક્ષમાં જોડાયા હતા.

.png)