રાજ્યના 21 જળાશયો 100 ટકાથી વધુ અને 30 જળાશયો 70 થી 100 ટકા ભરાયા

0
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદ (Rain) ની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર (Gandhinagar) ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઇ કાલે હવાઇ નિરીક્ષણ બાદ છોટા ઉદેપુરના બોડેલી ખાતે નાગરિકોને મળીને દુખમાં સહભાગી થઇને તેમના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે વહિવટી તંત્રને સુચનાઓ આપી હતી. આ ઉપરાંત નવસારીમાં પણ આશ્રયસ્થાનો માં આશ્રય લઇ રહેલા સ્થાનિક અસરગ્રસ્તોની મુલાકાત લઇને તેમના ખબર અંતર પુછી તેમના માટે ભોજન સહિતની જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સુચનાઓ આપી હતી. એટલુ જ નહિ, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુધ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ આપવા વહિવટી તંત્રને સુચનાઓ આપી હતી.

મંત્રી ત્રિવેદીએ જળાશયોની વિગતો આપતા કહ્યુ હતુ કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના 21 જળાશયો 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે. તે ઉપરાંત 30 જળાશયો 70 થી 100 ટકા, 27 જળાશયો 50 થી 70 ટકા, 51 જળાશયો 25 થી 50 ટકા અને 77 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના જળાશયો કુલ સંગ્રહ શક્તિના 46.25 ટકા ભરાયા છે અને સરદાર સરોવર કુલ સંગ્રહ શક્તિના 48 ટકા ભરાયા છે.

મંત્રી ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 18 એનડીઆરએફની પ્લાટુન અને 21 એસડીઆરએફની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની બે ટીમો અને એસડીઆરએફની પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 575 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા સ્થાનિક યુવાઓના સહયોગથી કચ્ચ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકાના વિવિધ ગામોમાં પાણીમાં ફસાયેલા અંદાજે 110 થી વધુ નાગરિકોને તેમજ ચાર અબોલ પશુઓને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડનાર સ્થાનિકો, એનડીઆરએફ -એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર અભિનંદનને પાત્ર છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યના ગામોમાં કાર્યરત 14610 એસટી બસના રૂટમાંથી માત્ર 138 ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે તેમાં પણ 14 રૂટ પૂર્વવત થઈ ગયા છે જ્યારે 124 રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. તેવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી માત્ર 769 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. તે તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. આ માટે પણ જી.યુ.વી.એન.એલના અધિકારીઓને મંત્રીએ અભિનંદન આપ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top