રાજ્યના વરસાદથી અસરગ્રસ્ત 6 જિલ્લાઓ પર સમીક્ષા બેઠક, CMએ કલેકટરોને આપી આ સુચના

0
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માર્ગોની મરામત કરીને પૂર્વવત કરવા માટે જો રાજ્ય સરકારની વધારાની મદદની જરૂરિયાત હોય તો કલેકટરો તે અંગેનું કાર્ય આયોજન મોકલી શકે છે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તીવ્ર વરસાદ અસરગ્રસ્ત ૬ જિલ્લાઓની સ્થિતી તેમજ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત, માર્ગ મરામત સહિતની કામગીરીની તલસ્પર્શી સમીક્ષા સી.એમ-ડેશબોર્ડના માધ્યમથી શુક્રવારે બપોરે કરી હતી. આ સમીક્ષા દરમિયાન તેમણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેકટરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદનું જોર હળવું થતાં જ આપણી અગ્રતા નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની તથા ખાસ કરીને માર્ગો-રસ્તાઓની મરામત કરી તેને પૂન: ઝડપભેર પૂર્વવત બનાવવાની હોવી જોઇએ. તેમણે જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે દૂર કરવા, રોગચાળો ફેલાતો ડામવા દવા છંટકાવની બાબતોને પણ અગ્રતા આપવા જિલ્લા કલેકટરોને સુચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માર્ગોની મરામત કરીને પૂર્વવત કરવા માટે જો રાજ્ય સરકારની વધારાની મદદની જરૂરિયાત હોય તો કલેકટરો તે અંગેનું કાર્ય આયોજન મોકલી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નવસારી જિલ્લામાં વરસાદને કારણે પાછલા 48 કલાકમાં જે સ્થિતી સર્જાઇ તેમાં જિલ્લા તંત્રએ ખડેપગે દિવસ-રાત બચાવ-રાહત કામગીરી કરી છે તેની સરાહના કરી હતી.

રાજ્યના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1300 જેટલા લોકો રેસ્કયુ કરવામાં આવ્યા છે તેમાંથી માત્ર નવસારી જિલ્લામાંથી જ એક જ દિવસમાં 811 લોકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ છે. આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ, NDRF અને સ્થાનિક તરવૈયાઓએ રાતભર જહેમત કરીને સૌને સલામત બહાર કાઢયા છે તેની વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.

નવસારીમાં એન.ડી.આર.એફની 4 અને એસ.ડી.આર.એફની 6 ટીમ તૈનાત છે અને જરૂર જણાયે વધુ ટીમ મોકલવા પણ કેન્દ્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે તેમ આ વીડિયો કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં ‘ઓપરેશન નિરામયા’ અંતર્ગત વરસાદી સ્થિતી બાદ સાફ-સફાઇ, કાદવ-કીચડ દૂર કરવા, દવા છંટકાવ માટે સુરત મહાનગરપાલિકાની 200 કામદારોની ટીમ 6 જેટલા જે.સી.બી, પાંચ ડી વોટરીંગ પમ્પ, ટીપર ટ્રક, ગલ્ફર મશીન જેવા 47 થી વધુ અદ્યતન સાધનો સાથે મદદમાં પહોચી ગઇ છે.

એટલું જ નહિ, 40 આરોગ્ય ટીમ પણ નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગ અટકાયત અને નિયંત્રણ માટે કાર્યરત કરવામાં આવેલી છે તેની વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 14,900 જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલું છે.

મુખ્યમંત્રીએ આ સ્થળાંતરિત લોકોને આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની અને રહેવાની યોગ્ય સુવિધા મળી રહી છે તે અંગેની જાણકારી પણ સંબંધિત કલેકટરો પાસેથી મેળવી હતી. સ્થાનિક સેવાસંગઠનો અને સેવાભાવી સંસ્થાઓનો આ હેતુસર સહયોગ મળ્યો છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાની સ્થિતીની સમીક્ષા કરતાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે વરસાદનું જોર હવે ઘટી રહ્યું છે તેમજ નદીઓમાં પાણી ઓસરવા લાગ્યા છે. સાપૂતારા તરફ જતો માર્ગ જે માટી અને ભેખડ ધસી જવાને કારણે બંધ હતો તે નાના વાહનો માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વરસાદની સ્થિતી અને બંદરો પર લગાવવામાં આવેલા ચેતવણી સૂચક સિંગ્નલ તથા માછીમારો દરિયામાં ન જાય તેની સાવચેતીના આગોતરા પગલાંની પણ વિસ્તૃત વિગતો મેળવી હતી. મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રાહત કમિશનર પી. સ્વરૂપ પણ સી.એમ ડેશબોર્ડની આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top