શ્રીલંકાના રાષ્ટ્રપતિ સચિવાલય જેના પર જુલાઈની શરૂઆતમાં સરકાર વિરોધી દેખાવકારોએ હુમલો કરી દીધો હતો સોમવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ત્યાં કામકાજ શરૂ કરવાની તૈયારી થઈ ગઈ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ સચિવાલયને તૈયાર કરવા માટે સપ્તાહના અંતે સફાઈ અને સમારકામ કરાયું હતું અને સુરક્ષાદળોએ સચિવાલય સામેના ગાલે રોડને વાહનવ્યવહાર માટે ખોલી નાખ્યો હતો.
આ જગ્યાને પણ દેખાવકારોએ 100થી વધુ દિવસથી ઘેરી રાખી હતી. 9 જુલાઇએ અહીં દેખાવકારોએ ભારે હિંસા કરી હતી. દેખાવોને કારણે જ ગોટબાયા રાજપક્સા દેશ છોડી ભાગી ગયા હતા અને તેમણે રાષ્ટ્રપતિ પદેથી પણ રાજીનામુ આપી દીધું હતું. શનિવારે દેખાવકારો રાષ્ટ્રપતિ સચિવાલયથી આશરે 100 મીટર દૂર ઊભા રહ્યા હતા અને દિવસે તેમણે કોઈ દેખાવ કર્યા નહોતા. અમુક તો ક્રિકેટ રમતા પણ જોવા મળ્યા હતા.
રાષ્ટ્રપતિ સચિવાલયમાં લાંબા સમયથી કામ ઠપ છે અને આંદોલન દરમિયાન પણ સચિવાયલને ભારે નુકસાન થયું હતું. પોલીસના મીડિયા પ્રવક્તા એસએસપી નિહાલ થલડુવાએ કહ્યું કે રાષ્ટ્રપતિ કાર્યાલય એક વ્યાપક પ્રણાલીનો હિસ્સો છે જેના માધ્યમથી રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યોનું પાલન કરે છે અને પરિસરને જલદી શરૂ કરવાની જરૂર છે.
રાષ્ટ્રપતિ, પીએમ આવાસથી અનેક વસ્તુઓ ગુમ થઈ
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન અને અહીં ટેમ્પલ ટ્રી ખાતે આવેલા વડાપ્રધાનના સત્તાવાર નિવાસેથી જૂની અને પ્રાચીન વસ્તુઓ સહિત અને કિંમતી વસ્તુઓ ગુમ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે પુરાતત્વ વિભાગ સહિત અન્ય વિભાગોના સહયોગથી તપાસ ચાલુ કરાઈ છે.




.png)