સહકારી સંસ્થાઓ ક્વોલિટીયુક્ત દૂધ વેંચે છે તેવી રીતે દારૂના વેચાણ માટે એજન્સીઓ આપી દેવી જોઈએ- વિપુલ ચૌધરી
મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રીએ આજે પાટણમાં અર્બુદા સેનાની બેઠક દરમિયાન લઠ્ઠાકાંડ અને દારૂબંધીને લઈ બફાટ કર્યો હતો. સહકારી સંસ્થાઓ ગુણવત્તા યુક્ત દૂધ વેચી રહી છે ત્યારે તેને ગુણવત્તા યુક્ત દારૂનું વેચાણ કરવા માટે એજન્સીઓ આપી દેવાની વિપુલ ચૌધરીએ વણમાગી સલાહ આપી હતી. સાથે દારૂબંધીના કાયદાને લઈ પણ સવાલ ઉઠાવ્યો હતો.
સહકારી ક્ષેત્રે દારૂનું વેચાણ કરવું જોઈએ- વિપુલ ચૌધરી
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટણમાં એક વિવાદિત નિવેદન કરતા કહ્યું હતું કે, રાજ્યમાં કાયદાઓ કરવાથી શું થઈ શકે. ગુણવત્તાયુક્ત દારુનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સહકારી ક્ષેત્રે દારૂના વેચાણ માટે એજન્સીઓ આપી દેવી જોઈએ.
ગુજરાતમાં દારૂબંધીના અનેક ફાયદાઓ છે
ગાંધીના ગુજરાતમાં અમલી દારૂબંધી એ એક એવો વિષય છે કે, કોઈ રાજકીય પક્ષ સામાન્ય રીતે તેને દૂર કરવાની માગ કરતો નથી. દારૂબંધીના કારણે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં અનેક ફાયદાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે વિપુલ ચૌધરીએ દારૂબંધી હટાવી સહકારી ક્ષેત્રે દારૂનું વેચાણ કરવાની વિચિત્ર સલાહ આપી હતી.
સરકારને મુશ્કેલી હોય તો અમારી એજન્સીઓ આપી દઈએ- વિપુલ ચૌધરી
વિપુલ ચૌધરીએ તો સરકારને વણમાગી સલાહ આપતા ત્યાં સુધી કહી દીધું કે, જો સરકારને મુશ્કેલી હોય તો પોતાની એજન્સીઓ આપવાની અને પોતાના ડિસ્ટ્રિબ્યુટર નિમવાની તૈયારી બતાવી હતી.
પાટણમાં અર્બુદા સેનાની કારોબારી બેઠકમાં નિવેદન
પાટણમાં અર્બુદા સેનાની કારોબારી બેઠક યોજાવમાં આવી હતી. જેમાં હાજર રહેલા વિપુલ ચૌધરીને જ્યારે બોટાદ લઠ્ઠાકાંડ મામલે સવાલ કરાયો ત્યારે તેમને દારૂબંધી મામલે વણમાગી સલાહ આપી હતી.




.png)