- 15 પૈકીના 14 ખલાસીઓને ઓમાન
નેવી દ્વારા રેસ્ક્યુ કરાયા
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયાના "નૂરે અલ
માસુમશા" નામના વહાણમાં અકસ્માતે આગ લાગતાં મધ દરિયે આ વહાણે જળસમાધિ લીધી
હોવાના અહેવાલો સાંપડયા છે. તેમાં સવાર 15 પૈકી 14
ખલાસીઓનો બચાવ થયાનું તથા એક ખલાસી લાપતા બન્યો હોવાનુ જાણવા મળ્યું
છે.
આ અંગે મળતી માહિતી મુજબ ખંભાળિયા તાલુકાના સલાયાના અગ્રણી વહાણવટી
આદમ ઇશાક સુંભણીયાની માલિકીનું "અલ નૂરે માસૂમશા" નામનું 1400 ટનનું અને આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું આ
વહાણ માલ- સામાન ખાલી કરીને યમનના નિસ્તુન બંદરેથી ગુરુવારે સવારે નીકળ્યું હતું. 15
ખલાસીઓ સાથેનું આ વહાણ ઓમાનના સલાલા બંદરે માલ ભરવા જતું હતું. આ
વહાણમાં 15 ખલાસીઓ સવાર હતાં. ગુરુવારના રાત્રીના સમયે આ
વહાણમાં અકસ્માતે આગ લાગી હતી અને જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
હતું.
આ વહાણના ખલાસીઓને ઓમાનની નેવીએ રેસ્ક્યું કરી અને 14 ખલાસીઓને બચાવ્યા હતા. જ્યારે હમઝા ગની ચમડિયા
નામનો એક ખલાસી લાપતા થયો હતો. બાદમાં આ વહાણએ મધદરિયે જળસમાધિ લીધી હતી.
આ બનાવે સલાયા પંથક સાથે વહાણવટી વર્તુળમાં ભારે શોક સાથે ચિંતાનો
માહોલ પ્રસરાવી દીધો છે.



.png)