લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે તેમણે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુજરાત ચૂંટણી માટે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા બાદ હિંમતનગરમાં જાહેરસભા સંબોધી. હિંમતનગરમાં તેમણે ભારત માતાની જયના નારા સાથે સંબોધન શરૂ કર્યું.

અમારી પાસે વીજળી-પેટ્રોલ બિલ ઝીરો કરવાની યોજના છે
વડાપ્રધાન મોદીએ વીજળી અને પેટ્રોલના ખર્ચ અંગે વાત કરતા કહ્યું કે, ‘મારે બીજું પણ એક કામ કરવું છે. મારે તમારું વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે. મારે તમારું પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે. તમને થશે કે, આ શું થયું છે આજે સાહેબને. પણ આ વાતો હવામાં નથી સાહેબ. આપણી પાસે યોજના છે. આપણે પીએમ સૂર્ય ઘર યોજના નક્કી કરી છે અને આ યોજના અંતર્ગત સરકાર 50, 60 કે 70 હજાર જેટલી જરૂર હોય એટલી રકમ આપે છે. તમારા ઘર ઉપર તમે સોલાર સિસ્ટમ ફિટ કરો અને જે વીજળી પેદા કરો. તમારે જોઈએ તે તમે વાપરો અને વધારાની વીજળી સરકાર ખરીદશે. એમાંથી તમે કમાણી કરો. આજે તમે વીજળીનું બિલ ભરો છો. મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીમાંથી કમાણી કરશો. હવે જમાનો ઈલેક્ટ્રિક વ્હિકલનો આવવાનો છે. એટલે તમારી પાસે સ્કૂટર હોય કે કાર, તમારે 100-200નું પેટ્રોલ ભરાવવું પડશે. એટલે તમારા ઘરે વીજળી હોય તો તમારું વાહન રાત્રે ચાર્જ થઈ જશે. સવારે નીકળી પડો તો પણ તમને એક રૂપિયાનો પણ પેટ્રોલનો ખર્ચ નહીં. જો આવું થાય તો દેશના મધ્યમ વર્ગનું જીવન કેટલું બદલાઈ જશે. એ પૈસા તે પરિવારના કલ્યાણ માટે અને સપનાં પૂરા કરવા વાપરી શકશે.’


.png)