દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ ટન દીઠ જાહેર કરેલા શેરડીના ભાવનો વિરોધ માંગરોળ તાલુકાના ખેડૂતોએ કર્યો હતો અને માંગરોળ તાલુકા મામલતદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદ્દે ફેર વિચારણા કરે એવી માગ કરી હતી.
સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની તમામ સુગરમિલોએ ગત તારીખ 1 એપ્રિલના રોજ વર્ષ 2023-24 માટે શેરડીના ભાવ જાહેર કર્યા હતા. જોકે ખેડૂતોને આશા હતી કે ચાલુ વર્ષે શેરડીના સારા ભાવ મળશે, પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું. એક તરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે તો બીજી તરફ માથે ચૂંટણી પણ છે. જેથી ખેડૂતોને 3500થી 3800 રૂપિયા જેટલા ભાવ મળવાની આશા હતી. જોકે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ 150થી 200 રૂપિયાનો વધારો આપ્યો છે, પરંતુ આટલો વધારો ખેડૂતોને પોસાય તેવો નથી તેવા ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આજરોજ માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે માંગરોળ તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા અને મામલદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદ્દે ફેર વિચારણા કરે તેવી માગ કરી હતી. સાથે જ સહકારી મંડળીમાં આવેલ મેન્ડેટ પ્રથાને લઇને પણ ચિંતાઓ વ્યક્ત કરી હતી


.png)