નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)ના મંદિરે મહાશિવરાત્રિનો ભવ્યમેળો ભરાય છે. 8મીથી 12મી માર્ચ સુધી આ મેળો ભરાવાનો છે. એકમાત્ર નેપાળી શૈલીના આ પ્રાચિનબ્લ મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે માહાશિવરાત્રિથી પાંચ દિવસ સુધી મેળો ભરાય છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ત્રણ રાજ્યોના શ્રધ્ધાળુઓ ઉમટે છે. આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવતો નર્મદાનો સૌથી મોટો મેળો ગણાય છે.
મહાશિવરાત્રિએ જ દેવમોગરાનો મેળો ભરાય
સામાન્ય રીતે મહાશિવરાત્રિએ સમગ્ર દેશમાં શિવની પૂજા થાય છે. જ્યારે એકમાત્ર દેવમોગરામાં મહાશિવરાત્રિએ આદિવાસીઓ શક્તિની પૂજા કરે છે. જો કે શિવ કે શિવરાત્રિ સાથે કોઈ સંબંધ નથી છતાં આ મેળો મહાશિવરાત્રિના રોજ ભરાય છે. આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા. નેપાળના પશુપતિનાથ શૈલીનું એકમાત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલું છે. ગુજરાત સરકાર દેવમોગરાને યાત્રાધામ તરીકે વિકસાવવા જઈ રહી છે. ત્યારે આ ધાર્મિક સ્થળનું મહત્ત્વ વધી ગયુ છે. બે હજાર ફૂટની ઉંચાઈએ સાતપૂડાની ગિરિમાળામાં આવેલા આ મેળામાં પગપાળા સંઘ દ્વારા બળદગાડામાં વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે છે. પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજીધજીને આદિવાસી સંસ્કૃતિને જીવંત કરે છે.


.png)