મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલા આર.સી.સી. રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે માર્ગ અને મકાન વિભાગ ભાવનગરના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
મહુવા કોંગ્રેસના વિજયભાઈ બારિયા દ્વારા પાઠવાયેલા આ આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, મહુવા તાલુકાના પઢીયારકા ગામથી ડોળિયા ગામ બાયપાસ અને નેપ ગામથી વાલાવાવ ગામને જોડતો માર્ગ આરસીસી બનાવવામાં આવ્યો છે તેમાં લોટ લાકડા અને પાણી જેવો ઘાટ ઘડાયો છે. આ માર્ગમાં ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જેમાં સિમેન્ટ કલર ભડીયાની ભૂકી વાપરવામાં આવી છે જેથી કરીને સિમેન્ટનો કલર વધુ દેખાય છે તો બીજી તરફ લોખંડનો જરા પણ ઉપયોગ થયો નથી ઓછું ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે જેને લઇ આ માર્ગની મજબૂતાઈ કઈ રીતે જળવાશે ? તે પણ એક પ્રશ્ન છે જયારે નેપ ગામથી વાલાવાવ ગામ સુધીનો જે માર્ગ બનાવવામાં આવ્યો છે તેમાં પણ કપચી નાખવાના બદલે ત્યાં નજીકમાંથી જ માટી ખોદીને નાખીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો તેમણે રજૂઆતમાં આક્ષેપ કર્યો છે. આથી આ સંબંધમાં કાર્યવાહી કરવા માગણી કરી છે અને જો આઠ દિવસમાં માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો સ્થાનિકો તેમજ મહુવા તાલુકાના સમસ્ત કોંગ્રેસ કાર્યકરોને સાથે રાખી મહુવા નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારી છે.



.png)