રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટીએ બરતરફ કર્યા છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ વશરામ સાગઠિયાને તમામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ વશરામ સાગઠિયા ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળ્યા હતા. તેમના એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ગાંધી આશ્રમથી પાલડી સુધીની પદયાત્રા યોજાઈ હતી. શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા હાજર રહેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા હતા.

AAP નેતા વશરામ સાગઠિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાતા તેઓ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને વશરામ સાગઠિયા હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ હતા. શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની સાથેનો વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠિયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ હતી. હવે આમ આદમી પાર્ટી દ્વારા તેમને તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે.


.png)