પાટણ શહેરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં નીકળતાં ભગવાનના દર્શન માટે હૈયે હૈયુ દળાય તેવી લાખોની જનમેદની શહેરના રાજમાર્ગો પર ઉમટી પડી હતી. આજે ભગવાન શામળિયો સામે ચાલીને ભક્તોને દર્શન આપવા બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે શહેરના રાજમાર્ગો પરથી પસાર થતા તેમના દર્શન કરી ભક્ત ધન્ય થયા હતા. ભગવાનની રથયાત્રા સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ પ્રસાદના ટ્રેકટર શણગારેલા હાથી. ઘોડા, ઊંટ, બેન્ટ વાજા, ડી.જે અને ભજન મંડળીઓ વેશભૂષા ના તાલે નીકળેલી ભગવાનની રથયાત્રાએ ઐતિહાસિક ઝાંખી રજૂ કરી હતી.
અષાઢી બીજના પાવન દિને દેશમાં સૌથી પ્રાચીન જગન્નાથપુરીની રથયાત્રા જે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે છે. જ્યારે, બીજા ક્રમે અમદાવાદમાં નીકળતી પરંપરાગત ભગવાન જગન્નાથની રથયાત્રા અને ગુજરાતમાં ત્રીજા ક્રમે આવતી ઐતિહાસિક પાટનગર એવા પાટણ શહેર માંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નું પણ આગવું મહત્વ રહેલું છે. પાટણમાં છેલ્લા 140વર્ષથી ભગવાન જગન્નાથની પાવનકારી રથયાત્રા નીકળે છે.ત્યારે ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાનું જગન્નાથ મંદિર અને રથયાત્રા સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અષાઢી બીજના પાવન દિને શહેરમાં આવેલા જગદીશ મંદિર ખાતે વહેલા સવારે 5 વાગે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામને પટોળાના વસ્ત્ર પરિધાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાનને કોળું, ગવાર અને ખીચડીનો નૈવેધ ચડાવવામા આવ્યો હતો.
ત્યારબાદ,બપોરે 12 કલાકે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને રેશમી કાપડ માંથી તૈયાર કરવામાં આવેલા રજવાડી વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તેમજ ભગવાન જગન્નાથને છપ્પન ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિર પરિસરની બહાર ઊભેલા ત્રણેય રથોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની મૂર્તિઓને બિરાજમાન કરવામાં આવી હતી અને જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોરનો ગગનભેદી નાદ કરવામાં આવ્યો હતો. અબીલ ગુલાલની છોળો ઉડાડવામાં આવી હતી. આસપાસના રહીશો ભગવાનનો રથ ખેંચનાર ખલાસી ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


.png)