અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગત રાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાને કારણે એમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતાં મોત થયું છે, જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ચોટીલાના ‘આપાગીગાના ઓટલા’ પાસેનો બનાવ
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે ‘આપાગીગાના ઓટલા’ પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની ચાલુ બસમાં અચાનક આગ લાગી હતી. એને કારણે બસમાં સવાર મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. બસ ઊભી રાખી દેવાતાં મુસાફરો નીચે ઊતરવા લાગ્યા હતા. જોકે બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો દાઝી જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વાપીથી સોમનાથ જઈ રહી હતી બસ
વાપીથી નીકળેલી અને સોમનાથ જતી બસ ચોટીલા નજીક આવેલા ધાર્મિક સ્થાન આપા ગીગાના ઓટલા પાસે પહોંચતાં અચાનક શોર્ટસર્કિટને કારણે આગ લાગી જતાં ચાલકે બસને હાઈવે પરથી સાઈડમાં લીધી હતી અને તરત જ પેસેન્જરોને ઉતારવા તજવીજ હાથ ધરી હતી.
એક વર્ષ પહેલાં સુરત પાસે પણ આવી જ ઘટના બની હતી
સુરેન્દ્રનગરના ચોટીલા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ જેવી જ ઘટના એક વર્ષ પહેલાં સુરતમાં બની હતી. એક વર્ષ પૂર્વે સુરતના કતારગામથી ભાવનગર જવા નીકળેલી બસ હીરાબાગ સર્કલ પાસે પહોંચતાં આગ ફાટી નીકળી હતી. બસમાં આગને કારણે મુસાફરો નીચે ઊતરી ગયા હતા, પરંતુ એક મહિલાનું દાઝી જવાથી મોત નીપજ્યું હતું.


.png)