ગુજરાત ના છેક છેવાડે આવેલ નિઝર ઉચ્છલ વિસ્તાર ને અમદાવાદ સાથે જોડતી હાલ ની સ્લીપર બસ સાવ ભંગાર સ્થિતિમાં આવી ગઈ છે.આ અંગે મુસાફરો દ્વારા એસ ટી નિગમમાં રજુઆત કરવામાં આવી છે પણ હજી સુધી સમસ્યા નું નિરાકરણ આવ્યું નથી.
એસ ટી નિગમ દ્વારા તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર પંથકમાં દોડાવવા માં આવતી મોટે ભાગ ની બસ ભંગાર સ્થિતિમાં જ જોવા મળે છે.આ સંદર્ભે એક મુસાફરે કરેલી ફરિયાદ મુજબ ગત 22 મી એ તેમણે અમદાવાદ થી નિઝર આવવા માટે નિગમ ની એપ પર થી પુરા રૂપિયા ચૂકવી ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું.આ રૂટ પર એસ ટી નિગમ અમદાવાદ ના ચંડોળા ડેપો દ્વારા (GJ-18-Z-1542) નંબર ની એક સ્લીપર બસ મૂકવામાં આવી હતી અને મુસાફરો તેમાં ગોઠવાયા હતા. જોકે આ સ્લીપર શ્રેણી ની બસ ની સ્થિતિ સાવ ભંગાર જોવા મળી હતી.આ બસ ની સ્લીપર સીટ ના પાટિયા તૂટેલા હતાં અને બારી ના કાચ પર પડદા પણ ન હતાં જેથી કાચ ની તિરાડ માંથી ઠંડો પવન મુસાફરો એ સહન કરવો પડ્યો હતો.
એ સાથે જ બસ ની સિટિંગ વ્યવસ્થા પણ સાવ ખરાબ જોવા મળી હતી અને બસમાં ચોતરફ ગંદકી પણ ફેલાયેલી હતી.આમ છેક છેવાડે ના આદિવાસી વિસ્તાર માં આવેલ નિઝર પંથક ના લોકો માટે એસ ટી નિગમ દ્વારા ખાસ આવી કિલોમીટર પૂર્ણ થઈ ગયેલી ભંગાર અને કંડમ બસો નિઝર રૂટ પર મોકલી આદિવાસી સમાજની મશ્કરી કરવામાં આવી રહી છે એમ કહેવાય તો ખોટું નથી.એસ ટી નિગમ દ્વારા આદિવાસી ભાઈ બહેનો પાસે પૂરું ભાડું વસુલ કરી રૂટ પર આવી કંડમ બસ મુકવામાં આવે છે એ કોઈ રીતે યોગ્ય નથી જ. હાલમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણી માં મતદારો એ બીજેપી ના ઉમેદવાર ને ખોબલે ખોબલે ભરી મત આપી ગાંધીનગર મોકલ્યા છે ત્યારે તેઓ તેમના જ વિસ્તાર ના મતદારો ને સારી સ્થિતિ ની બસ અપાવી શકશે ખરા કે એ જોવું રહ્યું.

