નવા માલિક એલોન મસ્ક એક બાદ એક કડક નિર્ણયો કરી રહ્યાં છે. સુકાન સંભાળતાની સાથે જ ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પરાગ અગ્રવાલ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર સહિત કેટલાક અન્ય ઉચ્ચ અધિકારીઓને બરતરફ કર્યા બાદ બ્લૂ ટિક માટે પૈસા અને હવે કર્મચારીબળ પર કાતર ફેરવી રહ્યાં છે.
ખર્ચ ઘટાડવા માટે કંપનીના 50% વૈશ્વિક કર્મચારીઓના ઘટાડવા પ્લાન હેઠળ હવે ભારતમાં પણ કંપનીએ છટણી શરૂ કરી છે. ટ્વિટર ઈન્ડિયાના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ભારતમાં પણ છટણી શરૂ થઈ ગઈ છે. મારા કેટલાક સાથીદારોને ઈમેલ દ્વારા આ અંગે જાણ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે વૈશ્વિક અને ભારતમાં કર્મચારીઓને છુટ્ટા કરતા ભારતીય ટીમના નોંધપાત્ર ભાગ પર અસર પડી છે. એક ખાનગી અહેવાલ અનુસાર ટ્વિટરે ભારતીય એકમના સંપૂર્ણ માર્કેટિંગ યુનિટ અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટને બરતરફ કર્યું છે એટલેકે આ વિભાગના તમામ કર્મચારીઓની હાલના તબક્કે હકાલપટ્ટી કરવામાં આવી છે.
મસ્કના ટ્વિટરના અધિગ્રહણ સોદા સમયે જ ચર્ચા ચાલી રહી હતી કે તેઓ સોશિયલ મીડિયા કંપનીમાં કર્મચારીઓની સંખ્યામાં મસમોટો ઘટાડો કરી શકે છે. અમુક અહેવાલોમાં તો કર્મચારીઓની સંખ્યામાં 75 ટકા ઘટાડો કરવાની યોજનાનો ઉલ્લેખ પણ થયો હતો.
કંપની કર્મચારીઓની સુરક્ષાની સાથે સાથે ટ્વિટર સિસ્ટમ અને ગ્રાહકોના ડેટાની સુરક્ષા માટે તમામ ઓફિસો અસ્થાયી રૂપે બંધ કરશે. શુક્રવારના સવારે ટ્વિટરે કહ્યું હતું કે 'જો તમે ઓફિસમાં હોવ અથવા ઓફિસ જઈ રહ્યાં છો તો કૃપા કરીને ઘરે પાછા ફરી જાવ.'


.png)