જેમ-જેમ વિધાનસભા ચૂંટણીને લઈને મતદાનનાં દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ રાજકીય સમીકરણો તેજ બની રહ્યા છે. જો કે કચ્છમાં કંઇક અલગ જ રાજનીતિ ચાલી રહી છે. કચ્છમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પોસ્ટને લઈને હાલ રાજ્ય નહિ પણ દેશની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપને ભાજપના જ નેતાઓ હરાવી દેશે
સૂત્રો અનુસાર કચ્છમાં અબડાસા બેઠક અને માંડવી બેઠક પર ભાજપના જ ઉમેદવારોને હરાવવા માટે રાપર વિધાનસભા સીટના ભાજપ ઉમેદવાર વિરેન્દ્રસિંહ મેદાને હોય તેવી રાજકીય ચર્ચાઓ જોર પકડ્યું છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં માંડવીના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વિરેન્દ્રસિંહની તસ્વીરની એક પોસ્ટ પણ વાયરલ થઈ છે.
પાર્ટીએ ઘટનાને ગંભીરતાથી લીધી અને ઉમેદવારની ઝાટકણી કાઢી
વિશ્વસનીય રાજકીય સૂત્રોનું માનીએ તો પાર્ટી હાઇકમાન્ડે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. પાર્ટીનાં સિનિયર નેતાઓ વિરેન્દ્રસિંહની ઝાટકણી કાઢી છે. પણ આપી છે કે આવી પ્રવૃતિ જો તેમણે કરી હશે તો ભાજપ આવી પ્રવુતિ ક્યારેક માફ નહિ કરે.
વિરેન્દ્રસિંહે જાહેર ખુલાસો કરતી પોસ્ટ કરી
માંડવી કચ્છનાં ધારાસભ્ય અને હાલ રાપર વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ આજે સોશિયલ મીડિયા પર એક જાહેર ખુલાસો કરતી પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે “હું વિરેન્દ્રસિંહજી જાડેજા ર – માંડવી વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને અપીલ કરું છું કે, સોશ્યિલ મીડિયામાં ક્ષત્રિય સમાજને અપીલ કરતી ખોટી પોસ્ટો ફરે છે. જેના પર ધ્યાન ન આપીને આપણે સહુ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત કરવા માટે માંડવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનિરુદ્ધ દવેને મત આપીને જંગી બહુમતીથી વિજયી બનાવવા સહુને અપીલ કરું છું”