હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રેલીમાં હોબાળો થયો હતો. ગુરુવારે સોલનમાં રોડ-શો કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે લોકોએ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આ મુદ્દે આપ કાર્યકર્તાઓ નારેબાજી કરનારની સામે આવી ગયા હતા. બંને પક્ષ વચ્ચે મારા-મારી થઈ હતી. અંતે સ્થિતિ એવી થઈ કે, કેજરીવાલ વચ્ચેથી જ ભાષણ છોડીને જતા રહ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેક 68 સીટો પર ચૂંટણી લડી રહી છે. ચૂંટણી અભિયાનમાં ગુરુવારે પહેલીવાર અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. તેઓ સોલન સીટથી ઉમેદવાર અંજૂ રાઠોડ માટે રોડ શો કરતા હતા, ત્યારે જ વિવાદ સર્જાયો હતો. હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થવાનું છે.
કેજરીવાલ સોલન શહેરમાં જૂની DC ઓફિસથી ખુલ્લી જીપમાં બેસીને નીકળ્યા હતા. તેમની સાથે શિમલાના સંસદીય વિસ્તારના 17 વિધાનસભા સીટના પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ હતા. ખુલ્લી ગાડીમાં તેમનો રોડ શો જૂના બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યો હતો અને ત્યાં કેજરીવાલે ભાષણ શરૂ કર્યું હતું.
તેઓ 5 મિનિટ જ બોલ્યા હતા અને અમુક લોકો એ કેજરીવાલ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. નારેબાજી કરનારે ETT-TET પાસ અધ્યાપક એસોસિયેશનના કાગળીયા પણ ઉછાળ્યા હતા. ત્યારપછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નારેબાજી કરનાર લોકોને મારવાનું અને ધક્કા-મૂક્કી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી બંને જૂથ વચ્ચે મારા-મારી શરૂ થઈ હતી.
વાતાવરણ ખરાબ થતાં પોલીસે વચ્ચે પડીને નારેબાજી કરનાર લોકોને રોડ-શોથી હટાવ્યા હતા. ત્યારે જ કેજરીવાલે એવું કહીને ભાષણ બંધ કર્યું હતું કે, જો કોઈને ગુંડા ગરદી જ કરવી હોય તો તેઓ ભાજપ અથવા કોંગ્રેસમાં જતા રહે. ત્યારપછી કેજરીવાલ રોડ શો છોડીને જતા રહ્યા હતા.



.png)