જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ જુદા જુદા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓમાં પક્ષપલટા પણ વધી રહ્યા છે. આની અસર સૌથી વધુ આપ અને કોંગ્રેસ પર થઇ રહી છે, જયારે ભાજપમાં પક્ષ છોડનારાઓની સંખ્યા નહિવત છે. આમ આદમી પાર્ટીમાં પણ સતત રાજીનામાઓ પડી રહ્યા છ.
સુરતથી મળી રહેલા અહેવાલો મુજબ ત્યાં આમ આદમી પાર્ટી સંગઠનમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. મંગળવાર (15 નવેમ્બર) ના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ સમેત 500થી વધુ નેતાઓ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપીને વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
આપના પ્રદેશ સચિવ યોગેશ પટેલે 500 કાર્યકર્તાઓ સાથે સત્તાવાર રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. અહેવાલો મુજબ, ભાજપ સુરત શહેર પ્રમુખના હાથે ખેસ પહેરી વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. માહિતી મુજબ ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર સંદીપ દેસાઈના સમર્થનમાં તેઓ ભાજપમાં જોડાયા છે. વર્ષ 2017માં આ જ યોગેશ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા.
અહેવાલો મુજબ એનસીપીથી નારાજ રેશમા પટેલ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. રેશ્મા પટેલ બુધવારે સવારે આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરશે. એટલુ જ નહિ, આપ રેશમા પટેલને વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવશે. આમ જોવા એવા એંધાણ મળી રહ્યા છે કે રેશમા પટેલ પાટીદાર અનામત આંદોલનના પોતાનાં જૂના સાથી હાર્દિક પટેલ સામે વિરમગામમા મેદાને ઉતરતા જોવા મળશે.
નોંધનીય રીતે એનસીપી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન દરમિયાન ગોંડલમાંથી રેશમા પટેલે એનસીપીના મેન્ડેટ પરથી કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટની માંગ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસ દ્વારા ફક્ત ત્રણ બેઠક ઉપર જ એનસીપીને સાથે રાખીને ગઠબંધન કરવામાં આવ્યું છે. જેના કારણે રેશમા પટેલ નારાજ હોવાનું સામે આવ્યું છે.