મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. ઘટના બાદ બચાવ કામગીરી પુરજોશમાં શરૂ છે.બેસતા વર્ષના દિવસેજ ઓરેવા ગ્રુપના એમડીના હસ્તે મોરબીના શાન સમાન ઝૂલતો પુલ ફરી શરૂ કરાયો હતો.
બિસ્માર હાલતમાં થતા રિનોવેશન માટે બંધ રખાયો હતો. 6 મહિનાના સમયમાં અંદાજીત 2 કરોડના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યો હતો જે નવા વર્ષની શરૂઆતમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નવા વર્ષના દિવસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ ચાલુ થતા મોરબીવાસીઓમાં આનંદ છવાયો હતો.
PMO તરફથી સહાયની જાહેરાત
મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. આ અંગે PMO તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને રૂપિયા 50,000 આપવામાં આવશે.
ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી
મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાની ઘટના અંગે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટમાં લખ્યું કે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપશે.
દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતી. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હાલમાં એક બાદ એક એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે. હજૂ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા.


.png)