વ્યારા નગરપાલિકાએ જિલ્લામાં સંગીત પ્રેમીઓ માટે બનાવેલાી સંગીત શાળા ખુલ્લી મુકવામાં આવી છે. આ સંગીત શાળામાં હવે જિલ્લાભરનાં સંગીત શીખવા માગતા વિદ્યાર્થીઓને નજીવી ફી લઇ તાલીમ અપાશે. જેના થકી લોકોમાં સંગીતમાં રુચિ વધવાની સાથે તાપી જિલ્લાના સંગીત પ્રેમીઓને એક નવુ પ્લેટફોર્મ મળી રહેશે.
તાપી જિલ્લામાં ક્રમશ: સંગીતનો વ્યાપ વધી રહ્યો છે, જેને લઇ આ વિસ્તારમાં સંગીતનું માર્ગદર્શન મળે સાથે સંગીતનો ઉપયોગ અને જાગૃતિ વધે માટે વ્યારા નગરપાલિકાએ જળવાટીકાનાં તળાવના કંપાઉન્ડમાં આવેલ વીર સાવરકર હોલ ના પ્રથમ માળે એક હોલમાં શુક્રવારે વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણાની હાજરીમાં સંગીત શાળા ચાલુ કરવામાં આવી છે. સંગીતના જાણકાર તેમજ સંગીત શિક્ષણ મેળવવા માંગતા સંગીતપ્રેમીઓ માટે એક નવો રસ્તો મળ્યો છે. વ્યારાની સંગીત શાળાને લઈને તાપી જિલ્લાના સંગીત શીખનાર લોકો માટે ખૂબ રાહત બનશે.
જિલ્લામાં મોટા ભાગે આદિવાસીની વસ્તી વધારે હોય, આવા સંજોગોમાં નજીવી માસિક ફી સાથે સંગીત શીખવા માટેની શાળા ખોલતા આર્થિક રીતે નબળો વર્ગ પણ સંગીત શીખી શકશે. સંગીતથી રોજીરોટી મેળવવામાં પણ સહાય મળી રહશે. આ ઉપરાંત સંગીતમાં ટેલેન્ટ ધરાવતા તાપી જિલ્લાના કલાકારોને એક નવું પ્લેટફોર્મ મળી રહેશે. જેના થકી તેઓને આગળ વધવા માટેની તક પણ થકી મળી રહેશે. વ્યારા પાલિકાના હોદ્દેદારો દ્વારા આ નગર પાલિકા સંચાલિત રાજ્યની પ્રથમ સંગીત શાળા હોવાનો દાવો કરાયો છે.
વ્યારા નગરપાલિકાના વીર સાવરકર હોલ ખાતે સંગીત શાળામાં નગરપાલિકાએ હાલ બે નંગ કેશીયો, ત્રણ નંગ કેશીયો સ્ટેન્ડ સાથે એક નંગ ઢોલક એક જોડી તબલા, એમ્પ્લી સ્પીકર, એક ડ્રમ સેટ, એક નંગ ગિટાર એક નંગ હાર્મોનિયમ, ત્રણ સેટ કોંગો અને ત્રણ નંગ કોંગો સ્ટેન્ડના સાધનો મૂક્યા છે. આ તમામ સાધનોને હોલમાં મૂકી દેવામાં આવશે. જેના માધ્યમ સંગીત શીખનાર લોકો સંગીતનો શિક્ષણ મેળવશે.
2 શિક્ષકો સંગીત શિખવશે
વ્યારા નગર પાલિકા દ્વારા સંગીત શાળા શરૂ કરવામાં આવી જેમાં સંગીત શીખવા આવનાર લોકો પાસે પ્રવેશ ફી 500 રૂપિયા લેવામાં આવશે ત્યારબાદ માસિક ફી 300 લેવામાં આવશે અને ફોર્મ ભરવાની ફી 50 રૂપિયા લઈ સંગીત શાળામાં પ્રવેશની સાથે સંગીત શીખવાની કામગીરી કરવામાં આવશે.હાલ બે જેટલા શિક્ષકો દ્વારા સંગીત શાળામાં શિક્ષણ આપશે.
દિવાળી બાદ વર્ગ શરૂ કરાશે
વ્યારા નગરપાલિકાએ સંગીત શાળા શરૂ કરી છે. સંગીત માટેના તમામ સાધનો આવી ગયા છે. હાલ સંગીત શિક્ષણ ટીચર પણ લઈ લેવાયા છે. દિવાળીની રજા પૂર્ણ થતા જ શાળામાં સંગીત શિક્ષણ કાર્ય ચાલુ કરી દેવાશે. - રીતેશભાઇ ઉપાધ્યાય, બાંધકામ સમિતિ ચેરમેન




.png)