PM મોદીએ ટ્વિટ કરીને લોકોને 'હર ઘર તિરંગા અભિયાન'ને મજબૂત કરવાની અપીલ કરી છે. તારીખ 13થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર ઝંડો લહેરાવવા PMએ અપીલ કરી છે ત્યારે સરકારના આ અભિયાન અંતર્ગત આજે સુરતમાં બે કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રાને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી. સુરતની આ પદયાત્રાના કાર્યક્રમમાં CR પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, દર્શના જરદોષ, પુર્ણેશ મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં છે.
સુરતની 'હર ઘર તિરંગા પદયાત્રા'માં નિવૃત્ત સૈનિકો પણ સામેલ થયા છે. એ સિવાય અનેક વિદ્યાર્થીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, પોલીસ બેન્ડ અને NCC પણ આ પદયાત્રામાં સામેલ થયા છે. હજારો વિદ્યાર્થીઓ પદયાત્રામાં જોડાવવા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે.
આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે: સંઘવી
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, 'આઝાદીના 75માં વર્ષે દેશમાં એકતાની લહેર જાગી છે. ગુજરાતના ઘરેઘરે તિરંગા લહેરાવવાના છે. આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે. તિરંગો ભેટમાં લેવાને બદલે તિરંગો ખરીદી ઘરે લહેરાવજો. સૌ ગુજરાતીઓ આ યાત્રામાં સહભાગી થાય તેવા પ્રયત્નો કરજો.'



.png)