અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કાંકરિયા અનુપમ બ્રિજનું 5 વર્ષે રિનોવેશન પૂર્ણ થતાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી દરરોજ અંદાજે 3 લાખ વાહનો પસાર થશે. રૂ. 41 કરોડના ખર્ચે 4 લેનનો નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. ખોખરા રેલવે બ્રિજનો અચાનક એક ભાગ તૂટી પડતાં તેને બંધ કરી દેવાયો હતો. છેલ્લા 5 વર્ષથી બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામની સમસ્યા વધી હતી અને લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહેવું પડતું હતું. બ્રિજ બંધ હોવાને લીધે મણિનગર વિસ્તારમાં પણ ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. બ્રિજ શરૂ થતા લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે.
બ્રિજનું વજન 1045 મેટ્રિક ટન
આ બ્રિજ શરૂ થઈ જતા હવે કાંકરિયાથી ખોખરા, હાટકેશ્વર અને સીટીએમ તરફ જવા માટે 4 કિલોમીટર ફરીને જવું પડશે નહીં. પશ્ચિમ રેલવેનો આ સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ છે. જેની લંબાઈ 92 મીટર છે ને વજન 1045 મેટ્રિક ટન છે. જેનું મેન્યુફેક્ચરિંગ દિલ્હીના ફરિદાબાદમાં કરીને અમદાવાદ લાવીને ફિંટિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે રેલવે ટ્રેક પર બનેલા આ ગર્ડર બ્રિજ પણ ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યો હતો.



.png)