વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 14,850 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અને ઉત્તર પ્રદેશના સાત જિલ્લામાંથી પસાર થતા 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું.
વડાપ્રધાને 29 ફેબ્રુઆરી, 2020ના રોજ બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. આ એક્સપ્રેસ વેનું કામ 28 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ હાજર રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકામાં કૈથેરી ગામમાં ઉદ્ઘાટન સમારોહમાં મોદીને સ્થાનિક બુંદેલી કપડાં આપીને તેમનું સ્વાગત કર્યું.
આ ફોર-લેન એક્સપ્રેસ વેનું નિર્માણ ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના નેજા હેઠળ આશરે રૂ. 14,850 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે અને તેને વધુ છ લેન સુધી વિસ્તૃત કરવામાં આવી શકે છે.
એક સત્તાવાર નિવેદન અનુસાર, એક્સપ્રેસવે ચિત્રકૂટ જિલ્લાના ભરતકુપ નજીકના ગોંડા ગામ ખાતે NH-35 થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ સુધી વિસ્તરે છે, જ્યાં તે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સાથે ભળી જાય છે. આ એક્સપ્રેસ વે સાત જિલ્લાઓ એટલે કે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવામાંથી પસાર થાય છે.
નિવેદન અનુસાર, બુંદેલખંડ એક્સપ્રેસવે વિસ્તારની કનેક્ટિવિટીમાં સુધારો કરશે તેમજ આર્થિક વિકાસને વેગ આપશે, કારણ કે તે સ્થાનિક લોકો માટે રોજગારીની ઘણી તકો ઉભી કરશે. બાંદા અને જાલૌન જિલ્લામાં આ એક્સપ્રેસવે સાથે ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.
.png)




.png)