અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્રભાઇના દૂરદર્શી નિર્ણયોથી ગુજરાતનો વિકાસ થયો છે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. ગૃહમંત્રી અમિત શાહે E FIR સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ‘ત્રિનેત્ર’ યુનિટનું પણ ઉદ્ધાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્રભાઇના દૂરદર્શી નિર્ણયોથી ગુજરાતનો વિકાસ થયો છે. પોલીસ આધુનિક અને ટેકનોસેવી બની છે. પોલીસ સંવેદનશીલ પણ બની છે. ભવનથી પરિણામ આવતા નથી પરંતુ ભવનની અંદર ભાવના નાખવાની જરૂર છે. યાત્રાધામ, બંદરના કેમેરા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ સાથે જોડવાની જરૂર છે. અમિત શાહે કહ્યું કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પરના કેમેરાને પણ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ સાથે જોડવાની જરૂર છે. ફક્ત સાત હજાર કેમેરાથી સિમિત ન રાખવું જોઇએ. દેશના 96 ટકા પોલીસ સ્ટેશનને ઓનલાઇન કરવાનું કામ કરવામાં આવ્યું છે.
શાહે કહ્યું કે ગુજરાત પોલીસની ગાથા પુસ્તક લખવા જેવી છે. ટૂંકા ગાળામાં ગુજરાત પોલીસમાં ઘણો ફેરફાર થયો છે. પોરબંદરનો દરિયાકાંઠો દાણચોરીથી ધમધમતો હતો. દાણચોરી કરવાની ચેનલો બંધ થઇ ગઇ છે. વધુમાં અમિત શાહે કહ્યું કે દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું દેશ માટે ઐતિહાસિક ઘટના છે. આઝાદી બાદ પ્રથમવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તે ગૌરવની વાત છે. ફક્ત શબ્દોના સાથીયા પુરવાથી આદિવાસીઓનો વિકાસ ન થાય. શાહે કહ્યું કે પોતાના ઘર પર તિરંગો ફરકાવી રાષ્ટ્રભક્તિની અભિવ્યક્તિમાં જોડાવું જોઇએ. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વધુ સુરક્ષિત થયાનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, વરસાદની આપદામાં પણ ગુજરાત પોલીસ ખડેપગે રહી છે.
.png)


.png)