લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. જે બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલની બદલી કરવામાં આવી છે, જ્યારે બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરાયા છે.
લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 57 લોકોના મોત
25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો હતો ને 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.
હજુ 97 લોકો સારવાર હેઠળ: હર્ષ સંઘવી
બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો હતો. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજીતરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.
DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી હતી
ઝેરી દારૂ પી જવાથી બરવાળામાં મોતનો સિલસિલો શરૂ થતા જ પોલીસ પણ એક્શનમાં આવી હતી. બીજીતરફ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે અને કેટલાકને અમદાવાદમાં દાખલ કરાયા હતા. આ સમગ્ર ઘટનામાંને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી હતી, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપયો હતો.
સેટિંગની ઑડિયો ક્લિપ વાઇરલ થતાં મહિલા ASI સસ્પેન્ડ થઈ હતી
દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇ યાસ્મિન જગરેલાને તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.
કેવો હતો રોજિદ માહોલ?
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં રોજિદ ગામમાં સૌથી વધુ 12 લોકોના મોત થયા છે. મંગળવારે વહેલી સવારથી રોજિદ ગામમાં મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. એ દિવસે ગામમાં એકસાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી હતી. બીજીતરફ અંતિમયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયું હતું. ગામમાં માત્ર મૃતકોના પરિવાર જ નહિ પણ ગામ લોકોમાં પણ દુઃખની લાગણી અનુભવી રહ્યા હતા.




.png)