ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના વડપણ હેઠળ ગુજરાત વિધાનસભામાં એક નવો જ પ્રયોગ થવા જઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી 21 જુલાઈએ એક દિવસીય સત્રનું આયોજન કરીને ગુજરાત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આ સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. આ અંગેના આયોજનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે અને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આયોજનઃ ડૉ.નીમાબેન
વિધાનસભાનાં અધ્યક્ષ ડૉ.નીમા આચાર્યએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે યુવાનોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને, ચર્ચા કેવી રીતે થાય વગેરે રૂબરૂ શીખી શકાય એ તેનો મુખ્ય હેતુ છે. 21 જુલાઈના રોજ આ કાર્યક્રમ થશે. પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી જ વિધાનસભા ચલાવશે.
3500 સ્કૂલ સ્કૂલનો સંપર્ક કર્યો
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા ઝોનલ વિસ્તારમાં યુવા વિધાનસભા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ માટે સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે સંકળાયેલી 3500 જેટલી સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જે પૈકી 390 સ્કૂલ-સંચાલકોએ પોતાના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં મોકલવા માટે તૈયારી દર્શાવી હતી. આ ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં મુખ્ય શહેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોની સ્કૂલના વિદ્યાર્થીઓને પણ મુખ્ય ઝોન ખાતે જ બોલાવાયા હતા. આ ઈન્ટરવ્યુ પ્રક્રિયા બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલી હતી.
અલગ-અલગ ઈન્ટરવ્યુ બાદ મંત્રીમંડળ નક્કી થયું: સ્કૂલ પોસ્ટના એમ.ડી.
સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જેના દ્વારા કરવામાં આવ્યું છે એ સ્કૂલ પોસ્ટ સંસ્થાના એમ.ડી. વિકાસ રાજવંશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં કરન્ટ અફેર્સ અને ભારતીય રાજકારણની જાણકારી તથા બોલવાની કળા અંગેની ચકાસણી કરવામાં આવી હતી.
પહેલા પ્રશ્નોત્તરી પછી બજેટ પર ચર્ચાઃ મિશ્રી શાહ વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદગી પામેલી વડોદરાની નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં ભણતી મિશ્રી શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારા બેથી ત્રણ ઈન્ટરવ્યુ થયા અને એમાં અલગ અલગ વિષય હતા. અમે રિહર્સલ કરી કે કેવી રીતે બોલવું, વર્તવું, કેવા ફોર્મેટ હોય તે સમજ્યા છીએ. પહેલા પ્રશ્નોત્તરી હશે, બજેટ પર ચર્ચા થશે. તેમજ મારે જે બોલવાનું હશે તે બોલવાનું રહેશે.
દેશમાં સમસ્યાઓ તો છે જ: રોહન રાવલ
અમદાવાદ શહેરની ઝાયડસ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા રોહન રાવલ એક દિવસીય યુવા વિધાનસભામાં મુખ્યમંત્રીની ભૂમિકા ભજવશે. રોહન રાવલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પહેલાં પણ કહ્યું હતું કે હિંદુ કે મુસ્લિમ નહીં પણ બધા ભારતીય છે. દેશમાં બેરોજગારી વધારે છે પણ આજે એક શાકવાળો પણ ડિજિટલ પેમેન્ટ કરે છે. રૂપિયાની કિંમત ઘટી છે, ક્રૂડના ભાવના પ્રશ્નો છે અને યુદ્ધ ચાલી રહ્યા છે. સમસ્યા તો છે જ.
એક દિવસીય કેબિનેટ મંડળના સભ્યોએ વિધાનસભા ખાતે રિહર્સલ કર્યું
એક દિવસ માટે નક્કી કરવામાં આવેલા યુવા વિધાનસભાના કેબિનેટ મંડળના સભ્યો શનિવારના રોજ બપોરે ગાંધીનગર ખાતે આવ્યા હતા. વિધાનસભા ખાતે તમામ સભ્યોએ સાંજના 6.30 વાગ્યા સુધી રિહર્સલ પણ કર્યું હતું. બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન સાથે પણ મુલાકાત કરી હતી.


.png)